અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ગુજરાતભરમાં 21 મી જુને ઊજવણી કરાશે. અને યુનિવર્સિટીઓ, શાળા કોલેજોમાં યોગ દિનની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો અને અનુસ્નાતક ભવનોના MOU કરાયા છે. દરેક કોલેજોને એક યોગ ટ્રેઈનર પણ ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સહાય કરશે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હીમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, યોગના આ MOU થકી દરેક કોલેજ અને અનુસ્નાતક ભવનો, વિભાગોમાં એક વિધાર્થી અને વિધાર્થિની સાથે અધ્યાપકોને યોગ એમ્બેસેડર તરીકે નિયુક્તિ આપી સાથે NSS અને NACની જેમ યોગને એક વિષય તરીકે પ્રવર્તમાન એકેડમીક કેલેન્ડરથી અમલ કરાશે. અને નવી એજ્યુકેશન પોલીસીને ધ્યાનમાં રાખીને જરૂરી ક્રેડિટ સાથે કરવા સૂચન કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં આઝાદીના અમૃત મહોત્સવ ઇન્ડીયા @ 75 ના ભાગરૂપે કુલ 75 દિવસ યોગની ઓનલાઇન ટ્રેનિંગ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જે વર્લ્ડ રેકોર્ડ માટે અરજી કરેલ હતી. જે ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું એ પ્રમાણપત્ર પણ ચેરમેન યોગ બોર્ડ અને કુલપતિના વરદહસ્તે જયદીપ ચૌહાણ અને ડો. યોગેશ આર પારેખને એનાયત કરવામાં આવ્યુ હતું.
ગુજરાત યુનિવર્સિટી અને યોગ બોર્ડ વચ્ચે જે કરારો થયા તેથી યુનિ, સંલગ્ન કોલેજો અને ભવનોના વિદ્યાર્થીઓને લાભ મળશે. યોગ, સ્વસ્થ જીવન અને સુખાકારીની પ્રવૃત્તિના ક્ષેત્રમાં સંયુક્ત તાલીમ, બંને સંસ્થાઓ જરૂરી પરવાનગીઓ અને પરવાના મેળવવાની બાબતમાં એકબીજાને મદદ કરશે તેમજ યોગ, સ્વાસ્થ્યપ્રદ જીવન અને સુખાકારીની પ્રવૃત્તિઓની બાબતમાં શૈક્ષણિક સામગ્રી અને શૈક્ષણિક પ્રકાશનોનું આદાનપ્રદાન કરશે. તાલીમ, કાર્યશાળા, વ્યાખ્યાનો અને ચર્ચા-સભાઓ માટે વિદ્યાશાખાના સભ્યોનું આદાનપ્રદાન કરશે, યોગ, સ્વસ્થ જીવન અને સુખાકારી પ્રવૃત્તિઓ, તેઓની તાલીમ, કાર્યશાળા અને સ્પર્ધાઓના આયોજન માટે માળખાગત સુવિધાઓનો પરસ્પર ઉપયોગ કરી શકાશે.તથા યોગ, સ્વસ્થ જીવન અને સુખાકારી પ્રવૃત્તિઓને લગતા અભ્યાસક્રમો અને શૈક્ષણિક કાર્યક્રમો માટે જ્યારે જરૂર પડે ત્યારે સક્ષમ સત્તાધિકારીઓની મંજુરી મળ્યેથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંસ્થાનું જોડાણ મેળવશે.