Site icon Revoi.in

ભાવનગરથી સીધી દિલ્હી સુધી ટ્રેન સેવા શરૂ કરવા MP શક્તિસિંહ ગોહિલે કરી માગ

Social Share

ભાવનગર, 12 માર્ચ 2026: MP Shaktisinh demands to start direct train service from Bhavnagar to Delhi પશ્વિમ રેલવે દ્વારા ભાવનગરને લાંબા રૂટ્સની ટ્રેનો ફાળવવામાં અન્યાય થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના અગ્રણી અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ભાવનગર રેલવે ટર્મિનસથી રાજધાની દિલ્હીને સીધી જોડતી ટ્રેન સેવા શરૂ કરવાની માંગણી કરી હતી. શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને પણ રજૂ કર્યો છે, જેમાં ભાવનગરની રેલ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર ભાર મૂક્યો છે.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,  ભાવનગરથી દિલ્હી માટે કોઈ સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ નથી. ભાવનગર એરપોર્ટ પણ લગભગ બંધ સમાન છે અને એર કનેક્ટિવિટીનો અભાવ છે. આ સ્થિતિમાં ભાવનગર જિલ્લાના લોકોને રાજધાની સુધી પહોંચવા માટે મુશ્કેલી પડે છે. લાંબા રૂટની ટ્રેનોમાં ભાવનગરને અન્યાય થઈ રહ્યો છે.

તેમણે વધુમાં કહ્યુ હતું  કે, ભાવનગર જિલ્લો ઔદ્યોગિક અને તીર્થાટનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. વિશ્વવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ (એશિયાનું સૌથી મોટું) અહીં આવેલું છે. ઉપરાંત જૈન ધર્મના અનુયાયીઓ માટે અત્યંત પવિત્ર તીર્થધામ પાલીતાણા (શેત્રુંજય પર્વત) સહિત સૌરાષ્ટ્રના અનેક મોટા તીર્થસ્થાનો ભાવનગર જિલ્લામાં છે. જેથી દિલ્હી સાથે સીધી રેલ કનેક્ટિવિટી યાત્રાળુઓ અને વેપારીઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ગોહિલે એક વ્યવહારુ સૂચન પણ આપ્યું છે કે,હાલમાં ભાવનગરથી અયોધ્યા વચ્ચે ચાલતી સાપ્તાહિક ટ્રેન (19201/19202) અઠવાડિયામાં માત્ર બે દિવસ દોડે છે અને બાકીના ચાર દિવસ તેની રેક (ટ્રેનની બોગીઓ) ભાવનગર ટર્મિનસ પર ફાજલ પડી રહે છે. આ રેકનો ઉપયોગ કરીને ભાવનગરથી દિલ્હી (શાકુરબસ્તી અથવા અન્ય દિલ્હી સ્ટેશન) સુધી સાપ્તાહિક ટ્રેન શરૂ કરી શકાય છે. આનાથી રેસોર્સનો સારો ઉપયોગ થશે અને નવી ટ્રેન શરૂ કરવાની જરૂર પડશે નહીં.

તેમણે ભાવનગરને પશ્ચિમ રેલવેનું ડિવિઝનલ હેડક્વાર્ટર હોવા છતાં સીધી દિલ્હી કનેક્ટિવિટીના અભાવ પર ચિંતા વ્યક્ત કરી છે. અને રેલવે વિભાગને તાત્કાલિક પગલાં લેવા અને સ્થાનિક ટ્રેનોમાં પણ સુધારા (જેમ કે લોકલ ટ્રેનોને એક્સપ્રેસમાં રૂપાંતરિત કરવા અને AC ચેર કાર ઉમેરવા)ની માંગ કરી છે. આ માંગણીથી ભાવનગર અને સૌરાષ્ટ્રના લોકોમાં આશા જાગી છે કે રેલવે મંત્રાલય આ મુદ્દાને ગંભીરતાથી લઈને ઝડપથી સીધી ટ્રેન સેવા શરૂ કરશે.

Exit mobile version