1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈઃ લોકલ ટ્રેનના પ્રવાસીઓને રાહત, AC ટ્રેનના ભાડામાં ઘટાડો કરાયો
મુંબઈઃ લોકલ ટ્રેનના પ્રવાસીઓને રાહત, AC ટ્રેનના ભાડામાં ઘટાડો કરાયો

મુંબઈઃ લોકલ ટ્રેનના પ્રવાસીઓને રાહત, AC ટ્રેનના ભાડામાં ઘટાડો કરાયો

0
Social Share

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ આકરી ગરમીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનમાં લાખોની સંખ્યામાં દરરોજ પ્રવાસ કરે છે. તેમજ ગરમીથી બચવા અનેક પ્રવાસીઓએ એસી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે. દરમિયાન રેલવે દ્વારા એસી લોક્સ ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને મોટી રાહત આપી છે. મુંબઈમાં એસી લોકલ ટ્રેનના ભાડામાં 50 ટકા સુધીના ઘટાડાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.

રેલ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે જણાવ્યું હતું કે, મુંબઈમાં એસી લોકલ ટ્રેનના ભાડામાં 50 ટકા સુધીના ઘટાડાની મંજૂરી આપવામાં આવી છે. ટિકીટનો દર રૂ. 130થી ઘટાડીને 90 કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન લાઈનથી સેન્ટ્રલ લાઈન ઉપર કિમીના હિસાબે ભાડામાં ઘટાડો કરવામાં આવશે. મુંબઈમાં લોકલ ટ્રેનને લાઈફ લાઈન માનવામાં આવે છે. મુંબઈમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. મુંબઈમાં આકરી ગરમીને કારણે એસી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. જેથી ટ્રેનમાં પ્રવાસીઓને બેસવાની પણ જગ્યા નહીં મળતી હોવાનું જાણવા મળે છે.

મુંબઈમાં ડિસેમ્બર 2017માં એસી લોકલ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં આ પહેલી એસી લોકલ ટ્રેન સેવા હતી. મુંબઈમાં પહેલી એસી લોકલ ટ્રેન બોરીવલી-ચર્ચગેટ રૂટ ઉપર દોડાવવામાં આવી હતી જે બાદ અન્ય રૂટ ઉપર પણ એસી લોકલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. ભાડામાં કરાયેલા નિર્ણયને ભાજપના સિનિયર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આવકાર્યો હતો. જો કે, ઈંધણના ભાવ વધારાને લઈને રાજ્યની ઠાકરે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code