- ગુજરાત હાઈકોર્ટે રાજકોટની ફેમિલી કોર્ટના આદેશને રદ કરતા આ ચુકાદો આપ્યો,
- મુસ્લિમ લગ્ન મુબારત દ્વારા સમાપ્ત કરી શકાય છે,
- મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ પણ આવી કોઈ પ્રથા અનુસરવામાં આવતી નથી
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ દંપતિના છૂટાછેડા કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. ફેમિલી કોર્ટના આદેશને રદ કરતા હાઈકોર્ટે કહ્યું છે કે, ‘મુસ્લિમ દંપતિ પણ મુબારત એટલે કે મૌખિક પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે. આ માટે કોઈ પણ લેખિત કરારની જરૂર નથી.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ. વાય. કોગજે અને એન. એસ. સંજય ગૌડાની બેન્ચે રાજકોટની ફેમિલી કોર્ટના આદેશને રદ કરતા આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં એક મુસ્લિમ દંપતિએ મુબારત દ્વારા લગ્ન વિચ્છેદ માટે રાજકોટ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, જે ફગાવી દેવાઈ હતી. આ કેસમાં રાજકોટની ફેમિલી કોર્ટની દલીલ કરી હતી કે ફેમિલી કોર્ટ્સ એક્ટની કલમ 7 હેઠળ આ અરજી ટકી શકે એમ નથી કારણ કે, આ દંપતિએ પરસ્પર સંમતિ માટે કોઈ લેખિત કરાર કર્યો નથી.
આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે મુસ્લિમ લગ્ન મુબારત દ્વારા સમાપ્ત કરી શકાય છે. મુબારત એટલે પરસ્પર સંમતિથી લેવાયેલા છૂટાછેડા. હાઈકોર્ટે કહ્યું કે મુસ્લિમ લગ્ન વિવાદનો અંત લાવવા માટે, આ માટે લેખિત કરાર હોવો જરૂરી નથી. આ નિર્ણય જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ એન.એસ. સંજય ગૌડાની બેન્ચે આપ્યો હતો. તેમણે કુરાન અને હદીસનો ઉલ્લેખ કર્યો. બેન્ચે કહ્યું કે નિકાહ સમાપ્ત કરવાની પ્રક્રિયા ધાર્મિક ગ્રંથો કુરાન અને હદીસમાં વર્ણવવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટે કુરાન અને હદીસમાં વર્ણવવામાં આવેલી પ્રક્રિયાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ‘મુસ્લિમ દંપતિ પણ મુબારત એટલે કે પરસ્પર મૌખિક સંમતિથી નિકાહ સમાપ્ત કરી શકે છે.’ આ સાથે હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિષ્કર્ષમાં ભૂલ જણાવીને ઉલ્લેખ કર્યો હતો કે, મુસ્લિમોમાં છૂટાછેડા માટે લેખિત કરાર જરૂરી છે એવું કુરાનની કોઈ પણ આયત કે હદીસમાં કહેવાયું નથી. એટલું જ નહીં, મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ પણ આવી કોઈ પ્રથા અનુસરવામાં આવતી નથી.