
- કોવેક્સિન અને કોવિશિલ્ડની અસરકારકતાને લઇને ICMR ચીફનું નિવેદન
- કોવિશિલ્ડના પ્રથમ ડોઝમાં કોવેક્સિનની તુલનાએ વધુ એન્ટિબોડી બને છે
- કોવેક્સિનના બીજા ડોઝ બાદ શરીરમાં પૂરતી એન્ટિબોડી બને છે
નવી દિલ્હી: ભારતની કોરોના મહામારીની સામેની જંગમાં વેક્સિનેશનને સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે. હાલમાં દેશમાં ત્રીજા તબક્કાનું વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે જેમાં 18-44 વર્ષની વયજૂથના લોકોને રસી આપવામાં આવી રહી છે. હાલમાં આ વર્ગને કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનનો ડોઝ અપાઇ રહ્યો છે. જો કે આ બધા વચ્ચે બંનેની અસરકારકતાને લઇને સતત ચર્ચા થઇ રહી છે.
બંની રસીમાં કઇ વધુ કારગર છે તેને લઇને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું છે કે, કોવિશિલ્ડ વેક્સિનનો પહેલો ડોઝ કોવેક્સિનના પહેલા ડોઝની તુલનાએ વધુ એન્ટિબોડી બનાવે છે.
ICMR ચીફ ડૉ. બલરામ ભાર્ગવ અનુસાર, નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોવેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ વધુ એન્ટિબોડી બનતી નથી પરંતુ બીજો ડોઝ લીધા બાદ પૂરતી એન્ટિબોડી બને છે. જ્યારે કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધા બાદથી જ તેનાથી સારી એન્ટિબોડી બની જાય છે.
કોવિશિલ્ડના પ્રથમ ડોઝમાં જ મજબૂત એન્ટિબોડી વિક્સિત થઇ જતી હોવાથી તેના બંને ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12-18 સપ્તાહ કરવામાં આવ્યું છે. જો કે કોવેક્સિનના બંને ડોઝ વચ્ચેનું 4 સપ્તાહનું અંતર યથાવત્ રાખવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,59,591 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 2,60,31,991 પર પહોંચી ગઈ છે. જો કે એક દિવસમાં 3,57,295 દર્દીઓ રિકવર પણ થયા છે.