
- કોમેડિયન કુણાલ કામરા દ્વારા સુપ્રીમ કોર્ટની અવમાનનો મામલો
- કોમેડિયન કુણાલ કામરાએ માફી માગવાનો કર્યો ઇનકાર
- જોક્સ વાસ્તવિકતા નથી હોતા અને હું એવો દાવો પણ કરતો નથી: કુણાલ કામરા
નવી દિલ્હી: થોડાક સમય પહેલા કોમેડિયન કુણાલ કામરાએ સુપ્રીમ કોર્ટની અવમાનના કરી હતી અને હવે સુપ્રીમ કોર્ટની અવમાનના કરવાના મામલામાં કોમેડિયન કુણાલ કામરાએ માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે. કુણાલ કામરાએ પોતાના સોગંદનામામાં કહ્યું છે કે, જોક્સ વાસ્તવિકતા નથી હોતા અને હું એવો દાવો પણ કરતો નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર, કામરાના વકીલે કોર્ટમાં પણ દલીલ કરી છે કે, જોક્સ માટે બચાવ કરવાની જરૂર નથી અને આ દલીલ હાસ્ય કલાકારની ધારણા પર આધારિત છે. કામરાએ ટ્વીટ કર્યું તેની પાછળનો ઇરાદો લોકોનો ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ ઓછો કરવાનો ન હતો.
સોંગદનામામાં વધુમાં કહેવાયું છે કે, જો સુપ્રીમ કોર્ટ માનતી હોય કે મે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે અને મારું ઇન્ટરનેટ અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવામાં આવે તો હું પણ મારા કાશ્મીરી મિત્રોની જેમ દર 15 ઑગસ્ટે હેપી ઇન્ડિપેન્ડસ ડેનું પોસ્ટકાર્ડ લખીને શુભેચ્છા પાઠવીશ. લોકશાહીમાં કોઇ સંસ્થાનો ટીકા કરવાનો કોઇને અધિકાર ના હોય તેવું માનવું તર્કહીન છે અને લોકાશાહી સાથે સંસુગત પણ નથી.
કોર્ટ એક તરફ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલાના મામલાની સુનાવણી કરે છે અને બીજી તરફ મુનવ્વર ફારુકી જેવા કોમેડિયનને જોક્સ માટે જેલમાં નાંખી દેવાય છે. કામરાએ કહ્યુ છે કે, કોર્ટના કોઈ પણ નિર્ણયનુ હસીને સન્માન કરીશ.
નોંધનીય છે કે પત્રકાર અર્નબ ગોસ્વામીના જામીનના મુદ્દે કામરાએ ટ્વીટર પર સુપ્રીમ કોર્ટ અંગે ટિપ્પણીઓ કરી હતી. જેના પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા તેને કોર્ટની અવમાનના અંગે નોટિસ મોકલવામાં આવી હતી.
(સંકેત)