- દેશમાં હવે વિદેશી રસીની સપ્લાયનો માર્ગ બન્યો મોકળો
- કેટલાક દેશોમાં મંજૂરી મેળવી ચૂકેલી રસીને ભારતમાં બ્રિજિંગ ટ્રાયલના તબક્કામાંથી પસાર નહીં થવું પડે
- ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ આ જાણકારી આપી છે
નવી દિલ્હી: દેશમાં રસીની અછતને પગલે DCGIએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને કેટલાક ખાસ દેશોમાં મંજૂરી મેળવી ચૂકેલી રસીને ભારતમાં હવે બ્રિજિંગ ટ્રાયલના તબક્કામાંથી પસાર નહીં થવું પડે. ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ આ જાણકારી આપી છે. હવે વિદેશથી ભારતમાં રસીની સપ્લાયનો માર્ગ વધુ મોકળો બનશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, USFDA, EMA, UK MHRA, PMDA જાપાન કે WHOની ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગ એટલે કે EULમાં સામેલ રસીએ બ્રિજિંગ ટ્રાયલ કરવાની જરૂર નહીં રહે. તેમાં એવી રસીઓ પણ સામેલ હશે જેના પહેલેથી જ લોકો ડોઝ લઈ ચૂક્યા છે. DCGI ના વીજી સોમાણીએ જણાવ્યું કે આ છૂટ નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓફ વેક્સીન એડમિનિસ્ટ્રેશન (NEGVAC) ની ભલામણોના આધારે અપાઈ છે.
અગાઉ રસી ઉમેદવારોએ લોકલ ક્લિનિકલ ટ્રાયલ કે બ્રિજિંગ સ્ટડીઝમાંથી પસાર થવાનું રહેતું હતું. જે હેઠળ ભારતીયોને રસી આપને સુરક્ષા સહિત અનેક ચીજોની તપાસ કરવામાં આવતી હતી. સરકાર પર રસીના ઓર્ડર જાહેર કરવામાં વિલંબનો આરોપ લાગી રહ્યો હતો.
જાણકારી અપાઈ હતી કે સરકારે જાણીતા વિદેશી રસી નિર્માતાઓને લોકલ ટ્રાયલમાંથી છૂટ આપી દીધી હતી. રાજ્ય સરકારોએ પણ સરકાર પર પૂરતો રસી સપ્લાય ન કરવાનો આરોપ લગાવ્યો હતો. જેના પર કહેવાયું હતું કે કેન્દ્ર નિર્ધારિત દિશા નિર્દેશો મુજબ રાજ્યોને પારદર્શક રીતે પૂરતી રીસ પહોંચાડી રહ્યું છે.