
નવા શૈક્ષણિક વર્ષ પહેલા બાળકોના વાલીઓને કોવિડ રસીથી સુરક્ષિત કરવા જરૂરી, તબીબોનો મત
દિલ્હીઃ દેશમાં વેકસીનેશનમાં હજુ 18 થી 44 વર્ષના વયજુથના લોકોનું વેકસીનેશન પણ પુરી રીતે એકશનમાં આવ્યુ નથી તે સમય બાળકોને આગામી લહેરમાં કઇ રીતે સુરક્ષીત રાખી શકાશે તે પ્રશ્ર્ન ઉભો થયો છે. દેશમાં વેકસીનની જબરી તંગી છે અને જુન માસથી ફરી એક વખત નવુ શૈક્ષણીક વર્ષ શરુ થઇ રહયુ છે તે સમયે કે.જી. થી લઇને ધો.10 સુધીના વિધાર્થીઓને શાળાએ મોકલવા સલામત હશે કે કેમ તે પ્રશ્ર્ન સર્જાયો છે. હાલના બીજા સંક્રમણમાં બાળકો પણ સંક્રમીત બન્યા હતા અને દેશભરમાં આ પ્રકારના 12500 કેસ નોંધાયા હતા. જેથી કોરોનાની આગામી લહેરમાં બાળકો પીડિત ન બને તે માટે તેમના માતા-પિતાને ઝડપથી કોરોનાની રસી આપવી જોઈએ તેવો તબીબોએ મત વ્યક્ત કર્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર 18 થી 44 વર્ષના વેકસીનેશન કાર્યક્રમમાં પણ હજુ જુલાઇ કે ઓગસ્ટ સુધી આ વર્ગને વેકસીન આપી શકાશે. તેથી જ 44 વર્ષ સુધીના માતા પિતાને કોરોના સંક્રમણ થાય તો તેની સીધી અસર તેના બાળકોને થઇ શકે છે. આ જ રીતે સરકારે 45 વર્ષ કે તેથી વધુના લોકોને વેકસીન આપવાનો સમયગાળો પણ વધારી દીધો છે. અમેરીકા અને વિશ્ર્વના અનેક દેશોમાં 12 થી 15 વર્ષની વયના બાળકોને ફાયઝરની વેકસીન આપવામાં આવી રહી છે. ભારતમાં હજુ બાળકોની વેકસીન સંશોધનનો તબકકો છે. ત્રીજી લહેર એ બાળકો માટે ચીંતાજનક હોવાનું મનાય છે. આ નવી લહેરમાં બાળકો ટાર્ગેટ બને તો વેકસીન ન અપાઇ હોય અને તેમના માતા પિતા પણ વેકસીનથી સુરક્ષીત ન બન્યા હોય તો તે મોટી ચીંતા હશે, તેવુ જાણીતા કાર્ડીયોલોજીસ્ટએ જણાવ્યુ હતુ.
ભારતમાં 12 વર્ષથી નીચેના 16.5 કરોડ બાળકો છે અને જો તેમા હજાર પણ સંક્રમીત બને તો તમે કઇ રીતે તેનો મુકાબલો કરશો. નાના બાળકો કે શીશુઓને ફકત નર્સના સહારે છોડી શકાય નહીં. તેમને માતા અથવા પિતાની હાજરી જરુરી છે. તેમને ઓકસીજન આપવુ એ સૌથી અઘરુ કામ છે નાના બાળકો ધરાવતા યુગલને તાત્કાલીક બે ડોઝથી સુરક્ષીત કરવા જરૂરી છે. તેમ તબીબો માની રહ્યાં છે.