Site icon Revoi.in

દહેજ પ્રથા, ભવ્ય લગ્ન સમારોહ અને ધર્માંતરણ પર અંકુશ લગાવશે નવી હિન્દુ આચાર સંહિતા

Social Share

લખનૌઃ કાશી વિદ્વત પરિષદે હિન્દુ પરંપરાઓ અને સામાજિક વ્યવહારમાં સુધારો કરવા માટે એક નવી હિન્દુ આચારસંહિતા બહાર પાડી છે. આ 400 પાનાનો દસ્તાવેજ દેશભરના વિદ્વાનો, શંકરાચાર્યો, મહામંડલેશ્વરો અને સંતો સાથે લાંબા વિચાર-વિમર્શ પછી તૈયાર કરવામાં આવ્યો છે. નવા સંહિતામાં દહેજ પર સંપૂર્ણ પ્રતિબંધ, લગ્નોમાં નકામા ખર્ચ ઉપર પ્રતિબંધ અને દિવસ દરમિયાન વૈદિક રીતે લગ્ન કરવાની ભલામણ કરવામાં આવી છે.

અંતિમ સંસ્કાર પછી ભોજન સમારંભમાં હાજરી આપવા માટે ફક્ત 13 લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સાથે, લગ્ન પહેલાના શૂટિંગ અને સગાઈ જેવી આધુનિક પ્રથાઓને પણ નિરુત્સાહિત કરવામાં આવી છે. સંહિતામાં હિન્દુ ધર્મમાં પાછા ફરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. દબાણ હેઠળ ધર્માંતરણ કરનારા લોકો તેમના ગોત્ર અને નામ સાથે હિન્દુ ધર્મમાં પાછા ફરી શકશે. આ સાથે, મંદિરોની પવિત્રતા જાળવવા માટે ફક્ત પૂજારીઓ અને સંતોને જ મંદિરોના ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

કાશી વિદ્વત પરિષદના મહાસચિવ રામ નારાયણ દ્વિવેદીએ જણાવ્યું હતું કે આ સંહિતા 70 વિદ્વાનો દ્વારા વિકસાવવામાં આવી છે. આ વિદ્વાનોને 11 ટીમો અને ત્રણ પેટા-ટીમમાં વહેંચવામાં આવ્યા હતા. દરેક ટીમમાં ઉત્તર અને દક્ષિણ ભારતના પાંચ વિદ્વાનોનો સમાવેશ થતો હતો. સંહિતાને અંતિમ સ્વરૂપ આપવા માટે 40 થી વધુ બેઠકો યોજાઈ હતી. તેમણે કહ્યું કે આ સંહિતાની 5 લાખ નકલો દેશભરમાં વહેંચવામાં આવશે.

આ સંહિતાની તૈયારીમાં મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, દેવલ સ્મૃતિ તેમજ ગીતા, રામાયણ, મહાભારત અને પુરાણોના ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓક્ટોબર 2025 માં શંકરાચાર્યો, રામાનુજાચાર્યો અને અગ્રણી સંતોની મંજૂરી પછી આ સંહિતા સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે.

Exit mobile version