ગુજરાતમાં મહેસુલી વિભાગે સર્વેની કામગીરી પૂર્ણ કરતા હવે જંત્રીના નવા દર જાહેર કરાશે
ગાંધીનગરઃ રાજ્યના તમામ વિસ્તારોમાં જંત્રીના દર નક્કી કરેલા છે. અને જંત્રી મુજબ દસ્તાવેજો કરવા પડે છે. દરમિયાન ગુજરાત સરકારે ગત એપ્રિલ મહિનામાં એકાએક જંત્રીના ભાવ ડબલ કરી નાંખ્યા હતા. વૈજ્ઞાનિક રીતે સર્વે કર્યા વગર જ આ જાહેરાત કરી દેતા તત્કાલિન સમયે અનેક ફરિયાદો થઈ હતી અને બિલ્ડરોએ જોરદાર વિરોધ કર્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરો અને મહેસુલ તંત્રને વિવિધ વિસ્તારવાઇઝ સર્વે કરાવવાની સુચના આપી હતી. તેથી નવેમ્બર મહિનામાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને રેવન્યુ વિભાગે એનો રિપોર્ટ સરકારને સબમિટ કરી દીધો છે. હવે આગામી દિવસોમાં જંત્રીના નવા ભાવની જાહેરાત કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ગત એપ્રિલ મહિનામાં જંત્રીના દર ડબલ કરી દીધા હતા. એટલે તત્કાલિન સમયે 100 ટકાનો વધારો કરાયો હતો. એટલે અગાઉ નક્કી કરાયેલા દરમાં બહુ ફેરફાર નહીં થાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કહેવાય છે. કે, જંત્રીના ભાવ ઓછા છે. એટલે કે હાલ જમીનોના ભાવ વધુ છે. અને ખરીદ-વેચાણ પણ મોટા પાયે થાય છે. પણ જંત્રીના દર ઓછા હોવાથી સરકારને રેવન્યુ આવક પુરતી મળતી નથી. એટલે આ વિસ્તારની સમીક્ષા કરવામાં આવી રહી છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ખાસ કોઈ ફેરફાર થાય એવું લાગતું નથી. હાલ જંત્રીના નવેસરથી સર્વે બાદ દર નક્કી કરવાની દિશામાં ચકાસણીની કામગીરી ચાલી રહી છે. 2024માં વાઇબ્રન્ટ સમિટ યોજાવવા જઈ રહી છે તે પૂર્વે મહેસૂલી તંત્રની ટીમ દ્વારા જંત્રીના ગ્રીડ મુજબ ભાવ નક્કી કરવાની કવાયત શરૂ કરી દેવાઇ છે. જેથી સરકારની સૂચના મુજબ વાઇબ્રન્ટ પછી કે પહેલાં નવા દર જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.