Site icon Revoi.in

વડોદરામાં 114 કરોડના ખર્ચે બનેલું STના સેન્ટ્રલ બસ સ્ટેશનનું સ્ટ્રક્ચર તૂટી પડતા એકનું મોત

Social Share

વડોદરા, 10 એપ્રિલ 2026:  શહેરમાં રૂપિયા 114 કરોડના ખર્ચે બનેલા વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે ઉપરના ભાગનું સ્ટ્રક્ચર આજે અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે એકને ઈજા થઈ છે.આ દૂર્ઘટનાને લીધે એસટીનો બસ વ્યવહાર ખોરવાયો છે.

વડોદરામાં આજે નવા જ બનાવેલા સેન્ટ્રલ એસટી બસ સ્ટેશનના સ્ટ્રકચરનો એક ભાગ તૂટી પડતા એકનું મોત નિપજ્યું હતું જ્યારે એકને ઈજા થઈ હતી, આ બનાવથી અફડા-તફડી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને અન્ય કોઈ ફસાયેલું છે કે નહીં તેની તપાસ કરી હતી.

આ અંગે ડીસીપી જગદીશ ચાવડાએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતી મુજબ, મૃતક નરસિંહભાઈ ગોવિંદભાઈ દવે અમદાવાદના ચાંદખેડાના રહેવાસી છે. તે અંગે મૌખિક માહિતી મળી છે. અન્ય બીજી કોઈ જાનહાનિ અત્યાર સુધી થઈ હોય એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી. આ બનાવમાં વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીની મદદથી કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે,

વડોદરાના એસટીના વિભાગીય નિયામક જે.એન. પટેલે જણાવ્યું કે, આ મુખ્ય બસ સ્ટેશન છે. જેના મુખ્ય પ્રવેશ દ્વાર માટે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું. તેની દિવાલને પીઓપી જેવા મટિરયલ દ્વારા ડેકોરેટિવ કરવામાં આવ્યું હતું. તેના ઉપરનો ભાગ અચાનક પડી ગયો હતો.

Exit mobile version