Site icon Revoi.in

વર્ષ 2026ના પ્રથમ સૂર્ય કિરણને એક લાખ લોકોએ સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરીને વધાવ્યાં

Social Share

સૂર્ય નમસ્કાર અભિયાન’માં ગુજરાતના યુવાધને બતાવી ભારતીય સંસ્કૃતિની શક્તિ,

ગાંધીનગર, 1 જાન્યુઆરી 20261 lakh people greeted the first sun ray of 2026 with Surya Namaskar ગુજરાતમાં એક લાખથી વધુ નાગરિકોએ વર્ષ 2026ની પ્રથમ સૂર્ય કિરણને સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરીને વધાવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ‘નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર’ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. 1લી જાન્યુઆરી 2026ના પ્રથમ સૂર્યોદયને વધાવવા માટે ગુજરાત તેમજ સમગ્ર દેશ અને વિદેશના એક લાખથી વધુ નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનોએ વિદેશી સંસ્કૃતિના આંધળા અનુકરણને તિલાંજલિ આપી, યોગ અને સૂર્ય ઉપાસનાના માધ્યમથી નવા વર્ષનો મંગલ પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ  શીશપાલસિંહ પણ વર્ચ્યુઅલી જોડાયા હતા.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નવા વર્ષની ઉજવણી મોડી રાત સુધીની પાર્ટીઓમાં કરવાને બદલે વહેલી સવારે યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર સાથે કરવી જોઈએ. આ તંદુરસ્ત શરૂઆત યુવાનોની પ્રગતિ અને સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ બનશે. આ પ્રકારના કાર્યક્રમાં મોટી સંખ્યામાં યુવાધન જોડાય એ સાબિતી છે કે, ગુજરાતની નવી પેઢી હવે સ્વાસ્થ્ય અને સંસ્કાર પ્રત્યે વધુ સજાગ બની રહી છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યુ ટ્યુબ ચેનલ પર આ કાર્યક્રમના લાઇવ પ્રસારણમાં એક લાખથી વધુ નાગરીકોએ પોતાના ઘરે, અગાશી કે નજીકના બગીચાઓમાંથી ઓનલાઈન જોડાઈને સૂર્ય નમસ્કાર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૂર્ય નમસ્કારના ઇતિહાસ, હનુમાનજીની સૂર્ય સાધના અને તેના વૈજ્ઞાનિક ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સત્રના અંતે સામૂહિક ધ્યાન દ્વારા શાંતિ અને એકાગ્રતાનો અનુભવ કરવામાં આવ્યો હતો.

આ ઐતિહાસિક અભિયાનમાં જોડાયેલા તમામ નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષશ્રીએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ સરકારી વિભાગો, કચેરીઓ અને નાગરિકોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ દ્વારા ગુજરાતમાં ‘મેદસ્વિતા મુક્ત’ અને ‘રોગ મુક્ત’ ભવિષ્ય વિકસાવવા માટે એક મજબૂત પાયો નાખવામાં આવ્યો છે.

Exit mobile version