નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. આ અંગે સતત અપડેટ્સ આવી રહ્યા છે. પહેલા સેનાએ વીડિયો અને ફોટા જાહેર કરીને આ ઓપરેશન વિશે માહિતી આપી હતી. હવે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ ઓપરેશન સિંદૂરનો એક નવો વીડિયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે BSF એ પાકિસ્તાનની 72 ચોકીઓનો નાશ કર્યો છે.
મંગળવારે રિલીઝ થયેલા ઓપરેશન સિંદૂરના એક નવા વિડીયોમાં પાકિસ્તાની ક્ષેત્રમાં અંદર રહેલા આતંકવાદી છાવણીઓ પર બીએસએફ દ્વારા કરવામાં આવેલા સચોટ હુમલાઓ દર્શાવવામાં આવ્યા છે. પાકિસ્તાની રેન્જર્સ પોતાનો જીવ બચાવવા માટે ભાગતા જોવા મળે છે અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ થતો પણ બતાવવામાં આવ્યો છે. ઉપરાંત, પાકિસ્તાની ચોકીઓનો નાશ થતો દર્શાવવામાં આવ્યો છે.
મીડિયાને સંબોધતા, BSF જમ્મુ ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ શશાંક આનંદે જણાવ્યું હતું કે BSF એ અખનૂર, સાંબા અને આરએસપુરા સેક્ટરમાં લોની, મસ્તપુર અને છબ્બરા સહિત અનેક આતંકવાદી લોન્ચ પેડનો નાશ કર્યો છે. તેમણે કહ્યું, “9-10 મેના રોજ, પાકિસ્તાને અખનૂર સેક્ટરમાં કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો અને BSF ચોકીઓને નિશાન બનાવી હતી. જેના જવાબમાં, અમે લશ્કર-એ-તૈયબાના લોન્ચ પેડ પર હુમલો કર્યો અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.”
તેમણે કહ્યું કે, “અમે દુશ્મનની અનેક ચોકીઓ, ટાવર અને બંકરોનો નાશ કરીને જવાબ આપ્યો છે. લગભગ 72 પાકિસ્તાની ચોકીઓ અને 47 આગળની ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. BSF ને સંપત્તિ કે માળખાગત સુવિધાઓને કોઈ નુકસાન થયું નથી.”