ભારત સામે પરાજ્યનો સામનો કરનાર પાકિસ્તાની આર્મી ફિલ્ડ માર્શલ અને આર્મી ચીફ અસીમ મુનીર અમેરિકામાં આર્મી ડે ઉજવણીમાં હાજરી આપી શકે છે. અહેવાલ છે કે અમેરિકાએ અસીમ મુનીરને 14 જૂને આર્મી ડે ઉજવણીમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે અને તેઓ 12 જૂને વોશિંગ્ટન ડીસી પહોંચી શકે છે.
સુત્રોએ જણાવ્યું હતું કે અસીમ મુનીરને અમેરિકા દ્વારા 250મા યુએસ આર્મી ડે ઉજવણીમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. મુલાકાત દરમિયાન, પાકિસ્તાનની ધરતી પર એક્ટિવ આતંકવાદીઓના મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમને અફઘાનિસ્તાન અને ભારતમાં આતંકવાદી હુમલાઓ કરતા આતંકવાદી જૂથો સામે કાર્યવાહી કરવા કહી શકે છે.
ગયા મહિને, ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ પછી, બંને દેશો વચ્ચે 3-4 દિવસ લાંબી લડાઈ થઈ અને 10 મેના રોજ યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા, જેના પછી ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધવિરામનો શ્રેય લેતા જોવા મળ્યા હતા. તેમણે ઘણી વાર કહ્યું કે ભારત અને પાકિસ્તાન તેમની સાથે વાત કર્યા પછી જ યુદ્ધવિરામ પર સંમત થયા હતા. જોકે, પાછળથી સરકારે સ્પષ્ટ કર્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બંને દેશોની પરસ્પર સંમતિથી થયો છે, તેમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી.
વિશ્વસનીય સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે પાકિસ્તાને યુદ્ધવિરામ માટે બે વાર ભારતનો સંપર્ક કર્યો હતો. પહેલા 7 મેના રોજ પાકિસ્તાને ફોન કરીને યુદ્ધવિરામની વિનંતી કરી હતી અને પછી 10 મેના રોજ બપોરે 3.35 વાગ્યે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) સાથે વાત કરવામાં આવી હતી અને પછી યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી.
22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના બદલામાં, ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને ચોક્કસ હુમલાઓ કરીને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ પછી, હતાશામાં, પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જેના જવાબમાં ભારતે પણ કાર્યવાહી કરી અને પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું.