Site icon Revoi.in

પાકિસ્તાનનો લુલો બચાવ, પહેલગામ હુમલાની આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી

Social Share

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનની ગભરાટ વધી ગઈ છે. આતંકવાદને સમર્થન આપવા બદલ ચારે બાજુથી પાકિસ્તાનની ટીકા થઈ રહી છે. પહેલગામ આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાન ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયું છે અને હવે તેણે એક નવી રણનીતિ અપનાવી છે. તેમજ પાકિસ્તાને પહેલગામ હુમલાની આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી છે. અહેવાલ મુજબ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય તપાસમાં સહયોગ કરશે. પહેલગામ હુમલાની આંતરરાષ્ટ્રીય તપાસ થવી જોઈએ.

સંરક્ષણ પ્રધાન આસિફે કહ્યું કે ભારતે આતંકવાદી હુમલા પછીની પરિસ્થિતિનો ઉપયોગ પાણી સંધિને રોકવા અને સ્થાનિક રાજકીય હેતુઓ માટે કર્યો હતો. ભારત કોઈ પણ પુરાવા અને તપાસ વિના પાકિસ્તાનને સજા આપવા માટે પગલાં લઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અમે નથી ઇચ્છતા કે આ યુદ્ધ ફાટી નીકળે કારણ કે જો આ યુદ્ધ ફાટી નીકળશે તો તે આ ક્ષેત્રમાં વિનાશ લાવી શકે છે.

હુમલાની જવાબદારી સ્વીકારનાર ટીઆરએફ અને લશ્કરને પાકિસ્તાનના સમર્થન અંગે સંરક્ષણ પ્રધાને કહ્યું કે, લશ્કર-એ-તૈયબા હવે અસ્તિત્વમાં નથી. મેં ક્યારેય ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) વિશે સાંભળ્યું નથી. લશ્કર એક જૂનું નામ છે. તે અસ્તિત્વમાં નથી. અમારી સરકાર પહેલગામ હુમલાની સખત નિંદા કરે છે. પાકિસ્તાન દાયકાઓથી આતંકવાદનો ભોગ બની રહ્યું છે.

ભારત પહેલગામ હુમલા માટે સતત પાકિસ્તાનને દોષી ઠેરવી રહ્યું છે. ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે, જેમાં સિંધુ જળ સંધિ પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે. દરમિયાન, પાકિસ્તાન આ હુમલામાં પોતાની સંડોવણીનો ઇનકાર કરી રહ્યું છે. પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે.

Exit mobile version