અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓ, શહેર ભાજપ સંગઠન અને કાર્યકર્તાઓ સાથે ગોષ્ઠી યોજીને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલે કેટલાક મહત્વના સૂચનો કરી તેનું પાલન શરૂ કરવા સિચના આપી હતી.લાંબા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પક્ષ અને વહીવટી તંત્ર વચ્ચે થતા સંઘર્ષના બનાવોને ગંભીરતાથી લઇ પાટીલે સહ કોષાધ્યક્ષ અને કોર્પોરેશનની કામગીરી પર દેખરેખ રાખતા ધર્મેન્દ્ર શાહને ઉદ્દેશીને કહ્યું કે, ‘મ્યુનિસિપલ કમિશનરની કામો મંજૂર કરવાની આર્થિક સત્તાને ઘટાડી દેવા માટે મેં તમને ક્યારનુંયે કહ્યું હતું. હજુ સુધી કેમ નથી થયું ?!’ તેમણે સુરતનો દાખલો આપીને કહ્યું કે, ‘અમે સુરતમાં આ પ્રયોગ ક્યારનો ય અમલી બનાવ્યો છે એટલે કોઇ ઘર્ષણ થતું નથી.
આ સાથે તેમણે ચૂંટાયેલી પાંખને ઉદ્દેશીને કહ્યું કે, ‘તમે સાચા, પ્રજાના કામો માટે ચૂંટાયેલા છો ત્યારે તમારે અધિકારીઓ સમક્ષ કગરવાની જરૂર શા માટે પડે છે ?, આ અધિકારીઓ તમે કોઇ એવા કામો લઇને જશો તો તમને નહીં ગાંઠે, એ કોઇના હોતા નથી. એટલે આપણે અધિકારીઓ સાથે એક મર્યાદા રાખીને એમને સીધું જ જે કામ છે એ કરવાની સૂચના આપવી જોઇએ.
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે શહેરના ટાગોર હોલમાં યોજાયેલી અમદાવાદ મ્યુનિના પદાધિકારીઓ શહેર સંગઠનના હોદ્દેગારો અને કાર્યકર્તાઓ સાથેની સંકલન બેઠકમાં જણાવ્યું હતું કે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષનો નેતા મજબૂત હશે તો તમારા કોઇ જનહિતના કામોમાં અધિકારી આડખીલી નહીં બને, એમ છતાંય કોઇ મુશ્કેલી ઊભી કરે તો મને કહેજો, હું મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી કે સંબંધિત મંત્રીને ધ્યાને મુકીશ. આ સાથે તેમણે સૌને જનતાની વાજબી ફરિયાદો, રજૂઆતો સાંભળવા, ફોન ઉપાડી વાત કરવા ખાસ સૂચન કર્યું હતું. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, શહેરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકરો, ચૂંટાયેલી પાંખને કેટલાક મહત્વના સૂચનો કરવા સાથે કહ્યું કે, સૌ પાર્ટીમાં કામ કરતાં હોય એમને ચૂંટણીમાં ટિકિટ માગવાનો હક્ક છે. કોને વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા છે ? એમ કહેતાં જ ટાગોર હોલમાં બેઠેલાં તમામે હાથ ઊંચા કરી ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, સૌ કાર્યકરોએ પોતાના વોર્ડના બુથમાં કમિટીઓ બની છે કે નહીં ? ન બની હોય તો જલ્દીથી એ કામ પૂરું કરવા સૂચન કરવા સાથે તેની તાજેતરની ચૂંટણીમાં પુરવાર થયેલી ઉપયોગિતાના ઉદાહરણો આપ્યા હતા. તેમણે એવા વાત દોહરાવી હતી કે પેજ કમિટીના માધ્યમથી આપણે વિધાનસભાની તમામ બેઠકો જીતી શકીએ એમ છીએ. આ સાથે તેમણે શહેર પ્રમુખ અમિત શાહને મહાનગરની કારોબારીની બાકીની રચના ઝડપથી પૂરી કરવા સૂચના આપી હતી.