બિહારના 42 ધારાસભ્યોને પટણા હાઈકોર્ટની નોટિસઃ જાણો શું છે મામલો?
પટના, 19 ફેબ્રુઆરી, 2026: notice to 42 MLAs of Bihar – બિહારમાં એકાએક રાજકીય ગરમાવો ફેલાઈ ગયો છે. ના આ કોઈ ચૂંટણી કે પક્ષાંતરનો મામલો નથી પરંતુ હાઈકોર્ટ અને ધારાસભ્યોનો મામલો છે. પટણા હાઈકોર્ટે બિહારના શાસક પક્ષ અને વિપક્ષના કુલ 42 ધારાસભ્યોને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. આ ધારાસભ્યો પર ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયામાં અનિયમિતતા (મત ચોરી) અને ચૂંટણી સોગંદનામામાં ખોટી માહિતી આપવાના આરોપો મૂકવામાં આવ્યા છે.
પટણા હાઈકોર્ટમાં દાખલ અરજી પર થઈ સુનાવણી
બિહારમાં થોડા મહિના પહેલા યોજાયેલી ચૂંટણી દરમિયાન સંબંધિત વિધાનસભા મતવિસ્તારોમાં હારી ગયેલા ઉમેદવારોએ જીતેલા ધારાસભ્યો વિરુદ્ધ પટણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર આજે ગુરુવારે (19 ફેબ્રુઆરી 2026)ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજીઓ પર પ્રારંભિક સુનાવણી કરતા હાઈકોર્ટે તમામ સંબંધિત ધારાસભ્યોને નોટિસ પાઠવી નિર્ધારિત સમય મર્યાદામાં જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યા છે.
બિહાર સરકારના મંત્રીઓ સહિત દિગ્ગજોને નોટિસ
હાઈકોર્ટ દ્વારા જે નેતાઓને નોટિસ પાઠવવામાં આવી છે તેમાં નાણા અને ઊર્જા મંત્રી બિજેન્દ્ર યાદવ (JDU), ભાજપના ધારાસભ્ય જીવેશ મિશ્રા, JDU ધારાસભ્ય ચેતન આનંદ, ગોહથી RJDના ધારાસભ્ય અમેન્દ્ર પ્રસાદ સહિત અન્ય પક્ષ-વિપક્ષના ધારાસભ્યો સામેલ છે. આવનારા દિવસોમાં હવે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. આગામી સુનાવણીમાં અદાલત સંબંધિત પક્ષોના જવાબ અને પુરાવાઓના આધારે આગળની પ્રક્રિયા નક્કી કરશે.
નોંધનીય છે કે 14 નવેમ્બર 2025 ના રોજ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા. ત્યારબાદ હારેલા નેતાઓએ પટના હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં NDA નો ભવ્ય વિજય થયો હતો. RJD માત્ર 25 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. કોંગ્રેસને માત્ર 6 બેઠકો પર જીત મળી હતી. સૌથી વધુ ફાયદો ભાજપ અને JDU ને થયો હતો. ભાજપના ખાતામાં 89 તો JDU ના ખાતામાં 85 બેઠકો ગઈ હતી.
ચિરાગ પાસવાનની પાર્ટી 19 બેઠકો પર જીતી હતી. જીતનરામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોરચાને 5 બેઠકો મળી હતી. જ્યારે ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક મોરચા 4 બેઠકો જીતવામાં સફળ રહી હતી.


