અમદાવાદઃ શહેરના મેઘાણીનગર, દાણી લીંબડા સહિત ઘણા વિસ્તારોમાં પાણીની લાઈનો વર્ષો પહેલા નાંખેલી છે. અને પાણીની ગટરનું પાણી મિશ્રિત થતું હોવાની ફરિયાદો ઊઠી છે. પાણી પુરતા પ્રેશરથી મળતું નથી. અને જે પાણી નળ દ્વારા મળી રહ્યું છે. તે પ્રદૂષિત અને ગંદુ છે. તેના લીધે લોકો બિમાર પડી રહ્યા છે. આ અંગે દાણી લીંબડાના લોકોએ મ્યુનિ.કોર્પોરેશનને રજુઆતો પણ કરી હોવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા નાગરિકોને મ્યુનિ. દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી તો પૂરું પાડતું જ નથી. તદુપરાંત જે પાણી આવે છે, તે ગંદુ તેમજ પ્રદૂષિત આવવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પૂર્વ વિસ્તારના મેઘાણીનગર, દાણીલીમડા, ગીતામંદિર, મજુર ગામ રોડ સહિતના વિસ્તારોમાં ગંદુ અને પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. પ્રદૂષિત પાણીના કારણે નાના બાળકો બીમાર પડી રહ્યા છે. ગટરનું પાણી મિશ્રિત થતું હોવાની સ્થાનિક રહિશો શંકા વ્યક્ત કરી રહ્યા છે. આ વિસ્તારના સ્થાનિક લોકોને કહેવા મુજબ અમદાવાદને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે પરંતુ, સ્માર્ટ સિટીમાં પૂર્વ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સ્વચ્છ પાણી લોકોને આપી શકતું નથી. મેઘાણીનગર વિસ્તારમાં ગંદું વાસ મારતું પાણી આવે છે. પાણીમાં ગટરનું પાણી અથવા માટીવાળુ મિક્સ પાણી આવતું હોય છે, પ્રદૂષિત પાણી આવતું હોવાના કારણે અન્ય જગ્યાએથી પાણી લાવવાની ફરજ પડે છે. નાના બાળકો, વડીલો અને વૃદ્ધો પાણી લેવા જાય છે.
શહેરના દાણીલીમડા અને બહેરામપુરાની આસપાસનો વિસ્તાર કહેવાતા એવા ગીતામંદિરથી લઈ મજૂર ગામ રોડ વિસ્તારમાં પણ પ્રદૂષિત પાણીની અનેક ફરિયાદો ઉઠી છે. છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી આવતું નથી અને જો પાણી આવે છે તો 10 મિનિટ જ આવે છે તેમાં પણ ગટરનું પ્રદૂષિત પાણી હોય છે. પ્રદૂષિત પાણી ના કારણે લોકો બીમાર પડે છે પાણી ન આવતું હોવા અંગેની અનેક ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરી છે તેમ છતાં પણ કોઈપણ નિરાકરણ આવતું નથી.