Site icon Revoi.in

પંજાબના લુધિયાણામાં પિકઅપ વાહન નહેરમાં ખાબક્યું, છના મોત

Social Share

નવી દિલ્હીઃ પંજાબના લુધિયાણા જિલ્લાના માલેરકોટલા રોડ ઉપરથી પૂરઝડપે પસાર થતા પિકઅપ વાહનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન પુલ ઉપરથી જાગેરા નહેરમાં ખાબક્યું હતું. આ દૂર્ઘટનામાં છ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે પાંચથી વધારે વ્યક્તિ ગુમ થયાનું ચર્ચાય રહ્યું છે. પોલીસ સહિતની બચાવ ટીમ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વાહનમાં સવાર શ્રદ્ધાળુઓ હિમચાલ પ્રદેશમાં એક મંદિરથી દર્શન કરીને પરત જઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબના લુધિયાણા જિલ્લામાં આજે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વાહન ચાલકની બેદરકારીને કારણે આ દૂર્ઘટના સર્જાઈ હતી.. માલેરકોટલા રોડ પર પુલ પરથી એક બોલેરો પિકઅપ વાહન જાગેરા નહેરમાં ખાબક્યું હતું. પિકઅપમાં લગભગ 25 શ્રદ્ધાળુઓ હતા, જેમાંથી 2 બાળકો સહિત 6 લોકોના મોત થયા હતા. નહેરમાં લગભગ 5 લોકો ગુમ થયા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બોલેરો પિકઅપમાં સવાર લોકો હિમાચલ પ્રદેશમાં મા નૈના દેવીના દર્શન કરીને તેમના ગામ માનકવાલ પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોએ પોલીસને તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે પિકઅપ ઓવરલોડ હતું અને ડ્રાઇવર ખૂબ જ ઝડપે ચલાવી રહ્યો હતો. આ દરમિયાન, જ્યારે તેણે બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે વાહને તેનું સંતુલન ગુમાવ્યું અને પિકઅપ પુલની દિવાલ તોડીને નહેરમાં પડી ગયું હતું. આ રીતે ડ્રાઇવરની ભૂલને કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યા.

એસએસપી ડૉ. જ્યોતિ યાદવે જણાવ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની ઓળખ જરનૈલ સિંહ (ઉ.વ. 52), મનજીત કૌર (ઉ.વ 58), સુખમન કૌર (દોઢ વર્ષ) અને આકાશદીપ સિંહ (ઉ.વ. 8) તરીકે થઈ છે. બાકીના 2ના નામ હજુ જાહેર થયા નથી. ઘાયલોમાં સરબજીત કૌર, સુરિન્દર સિંહ, જસવિંદર કૌર, સરબજીત કૌર, સ્વર્ણજીત કૌર, ભાગ સિંહ, કાકા સિંહ, કમલજીત કૌર અને સંદીપ કુમારનો સમાવેશ થાય છે.