Site icon Revoi.in

ચારધામની યાત્રા માટે ગુજરાતના યાત્રાળુંઓ હરિદ્વાર પહોચ્યા, ટ્રાવેલ્સ એજન્ટ ફરાર

Social Share

ગાંધીનગરઃ જિલ્લાના રાંદેસણના યાત્રાળુઓએ ચારધામની યાત્રાએ જવા માટે એક ટ્રાવેલ્સ એજન્ટનો સંપર્ક કર્યો હતો. અને 16 યાત્રાળુઓ ચારધામની યાત્રાએ જવા માટે તૈયાર થયા હતા. ત્યારબાદ અન્ય યાત્રાળુઓ મળીને 27 જેટલા યાત્રાળુંઓએ નક્કી કરેલી રકમ પણ એજન્ટને આપી દીધી હતી. દરમિયાન એજન્ટે યાત્રાળુઓને હરિદ્વાર ભેગા થવાનું કહીને રવાના કર્યા હતા. અને ત્યાં પહોચ્યા બાદ એજન્ટો કોઈ સંપર્ક ન થતાં કે મોબાઈલ ફોન પણ ન ઉપાડતા યાત્રાળુંઓએ પકત ફરીને ટ્રાવેલ એજન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ચારધામની સારી યાત્રા કરાવવાની લાલચ આપી એજન્ટે 28 યાત્રાળુઓ પાસેથી સાત લાખ જેટલી માતબર રકમ એડવાન્સ લઇ લીધી હતી. ત્યારબાદ યાત્રાળુઓને હરિદ્વાર મળવાનું કહેતા યાત્રાળુઓ હરિદ્વાર પહોંચ્યા હતા. જ્યાં એજન્ટને ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. જેથી યાત્રાળુને હરિદ્વારથી પરત ફરવું પડ્યું હતું. આખરે આ મામલે એજન્ટ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે રાંદેસણ ગામે રહેતા અને વકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ભુપતસિંહ હેમતુજી ગોહિલે મુળ દહેરાદુન રેઈનવાલા સાઈ ગાર્ડન પાસે રહેતા પરિક્ષીત જયકાંત જોષી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ભુપતસિંહને પરિક્ષીતનો સંપર્ક ધોળેશ્વર મંદિરે થયો હતો. બંને નિયમિત દર્શન કરવા આવતા હતા. આ દરમિયાન બે વર્ષ પહેલાં ભુપતસિંહે ચારધામ યાત્રા જવાની ઇચ્છા દર્શાવતા પરિક્ષીતે પોતે જોષી ટુર્સ એન્ડ ટ્રાવેલન્સમાં કામ કરતો હોવાનું જણાવી સારી યાત્રા કરાવવાની ખાતરી આપી હતી. જેતે સમયે યાત્રા માટે ભુપતસિંહ તથા તેમના ગામના 16 વ્યક્તિઓ નક્કી થયા હતા. જે પેટે તેઓએ પરિક્ષીત જોષીને 3.20 લાખ ચુકવ્યા હતા. પરંતુ આ સમયગાળા દરમિયાન ભુપતસિંહના કુટુંબમાં મરણ થતા તેઓએ ટુર અટકાવી હતી. આ મામલે પરિક્ષીતને જણાવતા તેણે પછી નક્કી કરો ત્યારે યાત્રા ગોઠવવાનું કહ્યુ હતું. આથી ભુપતસિંહે એડવાન્સ આવેલા 3.20 લાખ પરિક્ષીત પાસે જમા રાખ્યા હતા.

તાજેતરમાં ભુપતસિંહે પરિક્ષીતને પુનઃ યાત્રા મામલે વાત કરી હતી. આ સમયે પરિક્ષીતે હેલીકોપ્ટર, કાર ભાડુ અને હોટલ બુકિંગ માટે વધારે 80 હજાર થશે તેવી વાત કરતા આ પૈસા તેઓએ ઓનલાઈન ચુકવ્યા હતા. ત્યારબાદ વધુ 12 મુસાફરો નક્કી થતા એક મુસાફરના 25 હજાર લેખે 3 લાખ વધુ પરિક્ષીતને ચુકવવામાં આવ્યા હતા. પરિક્ષીતે આમ ભુપતસિંહ અને અન્ય 27 યાત્રાળુઓ પાસેથી કુલ સાત લાખ જેટલી રકમ ચારધામની યાત્રા માટે એડવાન્સ લીધી હતી. આ યાત્રાનું નક્કી થતા પરિક્ષીતે તેઓને હરિદ્વાર ભેગા થવાની વાત કરી હતી. આથી ગત તા.4 જૂનના રોજ ભુપતસિંહ અને ગામના 27 યાત્રાળુઓ ચારધામની યાત્રાના પ્રવાસે જવા માટે નિકળ્યા હતા. તેઓ ટ્રેન મારફત હરિદ્વાર પહોંચ્યા હતા. જ્યાંથી ભુપતસિંહે પરિક્ષીતે આપેલા ત્રણ મોબાઇલ નંબર પર ફોન કર્યા હતા, પરંતુ ફોન બંધ આવતા હતા. વારંવાર ફોન કરવા છતા પરિક્ષીતનો સંપર્ક નહી થતા દાળમાં કાંઈક કાળુ હોવાનું જણાતા તેઓએ પોતાના મિત્રો મારફત પરિક્ષીતના દહેરાદુન સ્થિત નિવાસ્થાને તપાસ કરાવી હતી. તેના નિવાસ્થાને પણ પરિક્ષીત જોષી મળી આવ્યો નહોતો. આથી પોતે છેતરાયા હોવાનું જણાતા સમગ્ર યાત્રાળુ સંઘ હરિદ્રારથી પરત ફર્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.