
ઓડીશા અને ગુજરાતમાં નિકળેલી રથયાત્રાને લઈને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
- પીએમ મોદીએ રથયાત્રાની શુભકામના પાઠવી
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શુભેચ્છાઓ પાઠવી
દિલ્હીઃ- કોરોના સંકટ વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા સોમવારની સવારે ઓડિશાના પુરી અને ગુજરાતમાં અમદાવાદમાં નીકળી રહી છે. કોરોના મહામારી ફેલાવાના ભયને જોતા આ વખતે પણ ભક્તોને રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા નથી. યાત્રામાં ફક્ત મંદિર સંકુલ સાથે સંકળાયેલા લોકોને અને કેટલાક અન્ય પસંદ કરેલા લોકોને જ મંજૂરી મળી છે.
રથયાત્રાના આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદની રથયાત્રા પહેલા મંગળા આરતીમાં ભાગ લીધો છે.
12 જુલાઈએ જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવી રહી છે. જો કે, આ વખતે કોવિડના નિયમોને પગલે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ રથયાત્રા માત્ર પુરીમાં મર્યાદિત વિસ્તારમાં જ કરવામાં આવી છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને, સામાન્ય ભક્તોને યાત્રામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નથી. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા દરમિયાન કોરોના નિયમોનું કડક પાલન કરવામાં આવશે.
રથયાત્રાને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાઠવી શુભેચ્છાઓ
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે જણાવ્યું હતું કે ‘ભગવાન જગન્નાથની રથયાત્રાના શુભ પ્રસંગે દેશભરના તમામ લોકો, ખાસ કરીને ઓડિશાના તમામ ભક્તોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ. હું કામના કરું છું કે પ્રભુ જગન્નાથના આશીર્વાદથી તમામ દેશવાસીઓનું જીવન સુખ, સમૃદ્ધિ અને આરોગ્યથી ભરેલું રહે. ‘
પીએમ મોદીએ રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘રથયાત્રાના વિશેષ પ્રસંગે તમામને શુભેચ્છાઓ. આપણે ભગવાન જગન્નાથને નમન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આશીર્વાદ દરેકના જીવનમાં સારું આરોગ્ય અને સમૃદ્ધિ લાવે. જય જગન્નાથ! ‘