ગોરેગાંવમાં આગની દુર્ઘટના મૃતકો અને ઈજાગ્રસ્તોને આર્થિક મદદની PM મોદીએ કરી જાહેરાત
નવી દિલ્હીઃ મુંબઈના ગોરેગાંવમાં બહુમાળી ઈમારતમાં લાગેલી આગની ઘટનામાં 8 વ્યક્તિઓના મૃત્યુની આશંકા વ્યક્ત થઈ રહી છે જ્યારે અનેક લોકો દાઝ્યાં છે. સમગ્ર ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે, “મુંબઈના ગોરેગાંવમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે. દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ આપવામાં અને ઘાયલોને રૂ. 50,000 એક્સ-ગ્રેશિયા અપાશે.: PM” દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંગેએ સમગ્ર ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમજ મૃતકોના પરિવારજનોને રૂ. 5 લાખની સહાયની જાહેરાત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોરેગાંવ સ્થિત આઝાદનગરના સમર્થ નામની 7 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. રાથના 3 વાગ્યાની આસપાસ ઈમારતના પાર્કીંગમાં લાગેલી આગ ગણતરીના મિનિટોમાં સમગ્ર ઈમારતમાં પ્રસરી હતી. પાર્કિગમાં પાર્ક કરાયેલી 4 કાર અને 30થી વધારે બાઈક સળગીને રાખ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડની 10થી વધારે ટીમોએ ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.
પાર્કિગમાં કેટલાક જુના કપડા રાખવામાં આવ્યા હતા. જેમાં આગ લાગી હોવાની આ શંકા છે. જે બાદ ગણતરીની મિનિટોમાં જ પ્રસરીને પાર્કિંગ ઉપરાંત પ્રથમ અને બીજા માળે પહોંચી હતી. સમગ્ર ઘટનામાં 46 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. તમામ ઈજાગ્રસ્તોને બે હોસ્પિટલમાં દાખવ કરવામાં આવ્યાં છે. ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.