Site icon Revoi.in

પીએમ કિસાન યોજના હેઠળ PM મોદીએ 20મો હપ્તો જાહેર કર્યો, 9.7 કરોડ ખેડૂતોના ખાતમાં રકમ ટ્રાન્સફર કરાઈ

Social Share

વારાણસીઃ દેશના કરોડો ખેડૂતો માટે એક મોટા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના બનૌલી ગામથી ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ (પીએમ કિસાન) યોજનાનો 20મો હપ્તો જાહેર કર્યો છે. આ પ્રસંગે, દેશભરના 9.7 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં ₹20,500 કરોડની નાણાકીય સહાય સીધી ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ફેબ્રુઆરી 2019 માં શરૂ કરાયેલ, આ કેન્દ્ર સરકારની યોજના નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય મદદ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના હેઠળ, દર વર્ષે ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં ₹6,000 ની સહાય આપવામાં આવે છે. યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં (20મા હપ્તા સહિત), કુલ ₹3.69 લાખ કરોડથી વધુની રકમ સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. અગાઉ, ૧૯મો હપ્તો ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ બિહારના ભાગલપુરથી બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ૯.૮ કરોડ ખેડૂતોને ₹ ૨૨,૦૦૦ કરોડથી વધુની રકમ મળી હતી. આ યોજના બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ૮૫% ખેડૂતો માટે ‘જીવનરેખા’ તરીકે કામ કરે છે. આ પૈસા વાવણી કે લણણી જેવા મુશ્કેલ સમયમાં ખેડૂતોને રાહત આપે છે.

પીએમ-કિસાન યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ડિજિટલ છે. જન ધન ખાતા, આધાર અને મોબાઇલ ફોન દ્વારા, આ યોજના દેશના દરેક ખૂણામાં ઝડપથી અને પારદર્શક રીતે કાર્ય કરે છે. ખેડૂતો ઓનલાઈન પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે, જમીન રેકોર્ડ ડિજિટલ રીતે ચકાસવામાં આવે છે અને પૈસા સીધા તેમના ખાતામાં પહોંચે છે. આ યોજનાથી પ્રેરિત થઈને, સરકારે કેટલીક નવી ડિજિટલ પહેલો પણ શરૂ કરી છે જેમ કે ‘કિસાન ઈ-મિત્ર’, એક વોઇસ-આધારિત ચેટબોટ જે ખેડૂતોને તેમની પોતાની ભાષામાં માહિતી પૂરી પાડે છે, અને ‘એગ્રી સ્ટેક’, એક ડિજિટલ પ્લેટફોર્મ જે ખેડૂતોને વ્યક્તિગત અને સમયસર સલાહ આપે છે.

Exit mobile version