ઉત્તરપ્રદેશમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું પીએમ મોદી કરશે ઉદ્દઘાટન, વારાણસીની લેશે મુલાકાત
- પીએમ મોદી જશે વારાણસીની મુલાકાતે
- અનેક યોજનાનું કરશે ઉદ્દઘાટન
- મેડિકલ પ્રોફેશનલ્સ સાથે પણ કરશે મુલાકાત
લખનઉ:વડાપ્રધાન 15 જુલાઇ 2021ના રોજ વારાણસીની મુલાકાત લેશે. તેઓ આ મુલાકાત દરમિયાન બહુવિધ વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે.
અંદાજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન BHUમાં 100 બેડની MCH વિંગ, ગોદૌલિયા ખાતે મલ્ટી-લેવલ પાર્કિંગ, પર્યટન વિકાસ માટે ગંગા નદીમાં રો-રો જહાજો અને વારાણસી ગાઝીપુર ધોરીમાર્ગ પર ત્રિ-માર્ગીય ફ્લાયઓવર પુલ સહિત વિવિધ જાહેર પરિયોજનાઓ અને કાર્યોનું ઉદ્દઘાટન કરશે.
રૂપિયા 744 કરોડની કિંમતની પરિયોજનાઓનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત, તેઓ અંદાજે રૂ. 839 કરોડની વિવિધ પરિયોજનાઓ અને જાહેર કાર્યોનો શિલાન્યાસ પણ કરશે. આમાં સેન્ટર ફોર સ્કિલ એન્ડ ટેકનિકલ સપોર્ટ ઓફ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (CIPET), જળ જીવન મિશન અંતર્ગત 143 ગ્રામીણ પરિયોજનાઓ અને કર્ખિયાંઓમાં કેરી અને શાકભાજી એકીકૃત પેક હાઉસ સામેલ છે.
બપોરે અંદાજે 12.15 વાગે વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર – ઋષિકેશનું ઉદ્દઘાટન કરશે જેનું નિર્માણ જાપાનની સહાયથી કરવામાં આવ્યું છે. ત્યારબાદ, બપોરે અંદાજે 2.00 વાગે વડાપ્રધાન BHUમાં માતૃત્વ અને બાળ આરોગ્ય શાખાનું નિરીક્ષણ કરશે. તેઓ કોવિડ સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરવા માટે અધિકારીઓ અને મેડિકલ પ્રોફેશનલો સાથે પણ મુલાકાત કરશે.