
અમદાવાદ નજીક યોજાનારા પ્રમુખસ્વામી મહોત્સવના ઉદઘાટન માટે પીએમ મોદીને આમંત્રણ અપાયું
અમદાવાદઃ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઊજવણી માટે BAPS સંસ્થા દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નવેમ્બર સુધીમાં મહોત્સવ માટેની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આ મહોત્સવના ઉદ્દઘાટનની તારીખ 15મી ડિસેમ્બરના બદલે 14મી ડિસેમ્બર કરવામાં આવી છે. આ મહોત્સવનું ઉદ્દઘાટન લપકામણ ગામમાં થવાની શક્યતા છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
BAPSના હરિભક્તો દેશ-વિદેશમાં મોટી સંખ્યામાં છે. અને મોટી સંખ્યામાં હરિભક્તો પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે આવશે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તારીખ નક્કી કર્યા બાદ BAPSના સદ્દગુરુ સંત સહિતના સ્વામીઓ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા ગયા હતા. મહોત્સવની તારીખ દરમિયાન ગુજરાતની વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઇ ગઇ હોવાથી આચારસંહિતાનો પ્રશ્ન પણ ઊભો નહીં રહે. ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે અત્યંત આદર હોવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્દઘાટન પ્રસંગે હાજરી આપે તેવી શક્યતા પ્રબળ બને છે.
BAPS સંસ્થાના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઊજવણી આમ તો આ મહોત્સવની ઉજવણી ડિસેમ્બર-2021માં જ કરવાની હતી. પરંતુ કોરોનાના કારણે તે સમયે ઊજવણી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાની અસર ભારતમાં ઓછી થતાં આ મહોત્સવની ઊજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એક સમયે નવેમ્બર મહિનામાં મહોત્સવની ઊજવણી કરવાનું વિચાર્યું હતું. પરંતુ ગુજરાતમાં ચૂંટણી થવાની શક્યતા ઉપરાંત વિદેશથી આવનારા લોકો માટે પણ મુશ્કેલી ઊભી થવાની શકયતા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મહોત્સવની તારીખ નક્કી કરવામાં આવી છે. આ મહોત્સવની જો ડિસેમ્બરમાં ઊજવણી કરવામાં આવે તો ચૂંટણી પૂર્ણ થઇ જવાની સંભાવનાની સાથોસાથ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી વિદેશોમાં ક્રિસમસ વેકેશન (ન્યૂયર્સ) હોવાથી વિદેશમાં વસવાટ કરતા હરિભક્તોને સહપરિવાર ભારત આવવામાં પણ સરળતાં અને સુગમતા રહેશે. તેમ જ ત્યારે વિદેશમાં ઠંડી તથા કમૂરતા ચાલતાં હોવાથી પણ વિદેશમાં વસતાં ભારતીયો ભારત પ્રવાસ કરતાં હોય છે. આ તમામ બાબતો પર ચર્ચા -પરામર્શ કર્યા બાદ વધુમાં વધુ લોકો પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવની ઊજવણી મહોત્સવનો લાભ લઇ શકે તે હેતુથી 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આગામી ડિસેમ્બરમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉજવાશે. વાસ્તવમાં આ મહોત્સવની ઉજવણી 2015થી શરૂ થઇ ગઇ છે. ગુજરાતના સુરત, રાજકોટ, ગોંડલ, આણંદ ઉપરાંત મુંબઇ તેમ જ વિદેશોમાં ઠેક ઠેકાણે નાના મોટા મહોત્સવ થઇ રહ્યાં છે. તેના મારફતે પ્રમુખ સ્વામીના પ્રેરણાત્મક કાર્યો, જીવન કાર્યો અને સંદેશ પહોંચાડવામાં આવી રહ્યાં છે.