- પીએમ મોદી આસામના સાંસદને મળશે
- સરહદી વિવાદોને લઈને કરશે મુલાકાત
- રાજ્યો વચ્ચે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસ
દિસપુર:આસામ અને મિઝોરમ વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામના સાંસદને મળશે. સાંસદો સાથે વડાપ્રધાનની આ બેઠકને બે રાજ્યો વચ્ચે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત કરી હતી. મિઝોરમના મુખ્યમંત્રી જોરામથંગાએ કહ્યું કે, ગૃહમંત્રી શાહ સાથે ફોન પર વાતચીત દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું કે, સરહદી વિવાદને વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ.
તેમણે ટ્વિટ કર્યું, “કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સાથેની ફોન વાતચીત મુજબ, અમે મિઝોરમ-આસામ સરહદ વિવાદને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં ફળદાયી વાટાઘાટો દ્વારા ઉકેલવા સંમત થયા છીએ.” આ સાથે જોરામથંગાએ અપીલ કરી કે, મિઝોરમના લોકોએ ઉશ્કેરણીજનક સંદેશા પોસ્ટ ન કરવા જોઈએ અને સોશિયલ મીડિયાના દુરપયોગથી બચવું દૂર, જેથી પ્રવર્તમાન તણાવ શાંત થઈ શકે.
હિમંત બિસ્વા સરમાએ ટ્વિટ કરીને જાણકારી આપી કે, તેમણે આસામ પોલીસને સૂચના આપી છે કે મિઝોરમના રાજ્યસભા સાંસદ કે. વનલાલ્વેના સામે નોંધાયેલી FIR પાછી ખેંચી લેવી જોઈએ. પરંતુ જે પોલીસકર્મીઓ વિરુદ્ધ હિંસાના વિરુદ્ધમાં કેસ નોંધાયેલો છે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે. આ અંગે મિઝોરમના ગવર્નર હરિ બાબુ કંભપતિએ કહ્યું કે, ‘આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિસ્થિતિને શાંત કરવાનો અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગયા સપ્તાહે 26 જુલાઈએ આસામ અને મિઝોરમ વચ્ચે તણાવ વધ્યો હતો જ્યારે મિઝોરમના કોલાસિબ જિલ્લાના વાયરેંગટે શહેરમાં બંને રાજ્યોના લોકો અને પોલીસ સામસામે આવી હતી.તે હિંસક ઝડપમાં આસામના છ પોલીસકર્મીઓ સહીત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા.તો 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારથી બંને રાજ્યો વચ્ચે ભારે તણાવ છે. કેન્દ્ર સરકારે આ વિસ્તારમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળની પાંચ કંપનીઓ તૈનાત કરી છે.