રાજકોટ, 19 જાન્યુઆરી 2026: શહેરની સિવિલ હોસ્પિટલમાં કેટલાક શખસો પડ્યા પાથર્યા રહેતા હોવાની ફરિયાદો ઊઠી હતી. ખાસ કરીને રાતના સમયે કેટલાક શખસો અડ્ડો જમાવતા હતા. માથાભારે શખસો હોવાથી હોસ્પિટલનો સ્ટાફ પણ ફરિયાદ કરવાથી દૂર રહેતો હતો. રાતના સમયે જ્યા બેડ ખાલી હોય ત્યાં જઈને આરામ કરતા હતા. હોસ્પિટલના પટાંગણમાં અને વોર્ડની આસપાસ અસામાજિક તત્વોનો જમાવડો અને નશાખોરીની પ્રવૃત્તિઓ સતત વધી રહી હતી. ત્યારે આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ કરાવવા માટે પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બિનજરૂરી રીતે અહીં પડ્યા પાથર્યા રહેતા શખસોને શોધીને બહાર કાઢવામાં આવ્યા હતાં. પોલીસની આ કાર્યવાહીથી અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
શહેરની સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી એવી ફરિયાદો ઉઠી રહી હતી કે અહીં કેટલાક શખસો દારૂ અને ગાંજા જેવા નશાની હાલતમાં રખડતા હોય છે. આ શખસો માત્ર હોસ્પિટલના વાતાવરણને જ નથી બગાડતા, પરંતુ દર્દીઓ અને તેમના સગાઓની સુરક્ષા સામે પણ જોખમરૂપ બન્યા હતા. આથી રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજાભાઈ ચાવડાએ પ્રદ્યુમન પોલીસ સ્ટેશનમાં રજુઆત કરી હતી. ચાવડાએ જણાવ્યુ હતું કે, તેમને અવારનવાર લોકફરિયાદો મળી રહી હતી કે હોસ્પિટલ પરિસરમાં એવા લોકો પણ વસવાટ કરે છે જેઓ દર્દીના સગા નથી. આ અસામાજિક તત્વો દ્વારા દર્દીઓના સગાઓ સાથે ઘર્ષણ થવાની અને નશાની હાલતમાં નકામો હોબાળો મચાવવાની ઘટનાઓ પણ બનતી હોય છે.
શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ મથકનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.પોલીસે હોસ્પિટલના દરેક ખૂણા, પાર્કિંગ એરિયા અને વોર્ડની આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. જે લોકો પાસે હોસ્પિટલના પાસ નહોતા અથવા જેઓ દર્દીના સગા હોવાનું સાબિત ન કરી શક્યા, તેવા તમામ બિનજરૂરી લોકોને હોસ્પિટલ પરિસરની બહાર કાઢવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને કોઈ અગવડ ન પડે અને તેઓ સુરક્ષિત વાતાવરણમાં સારવાર લઈ શકે તે હેતુથી આ કાર્યવાહી ખૂબ જ જરૂરી હતી. પોલીસના સરપ્રાઈઝ ચેકિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જોકે સ્થાનિક લોકોનું માનવું છે કે આવી તપાસ સમયાંતરે થવી જોઈએ. હોસ્પિટલ પ્રશાસને પણ પોતાની સિક્યુરિટી વ્યવસ્થા વધુ મજબૂત કરવી પડશે જેથી નશાખોરો અને રખડતા તત્વો હોસ્પિટલમાં પ્રવેશતા અટકી શકે.

