1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ, TET-TAT પાસ ઉમેદવારોની પોલીસે કરી અટકાયત
ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ,  TET-TAT પાસ ઉમેદવારોની પોલીસે કરી અટકાયત

ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ, TET-TAT પાસ ઉમેદવારોની પોલીસે કરી અટકાયત

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી નહીં કરીને કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. તેની સામે મહિનાઓથી ટાટ અને ટેટ પાસ કરેલા ઉમેદવારો સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાથી સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે ગાંધીનગર ખાતે જ્ઞાન સહાયક યોજનાના વિરોધ તેમજ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ રેલી કાઢવામાં આવી હતી. જેનાં પગલે પોલીસે તમામની અટકાયત કરી હતી.

ગુજરાત સરકાર દ્વારા 11 માસના કરાર આધારિતની જ્ઞાન સહાયક ભરતીનો ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.  તેમ છતાં હજી સુધી પડતર માંગણીઓ સંદર્ભે સરકાર તરફથી યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવતાં ધીમે ધીમે આંદોલન વધુ ને વધુ વેગ પકડી રહ્યું છે. આ લડતને કોંગ્રેસે ટેકો આપ્યો છે.  ઉપરાંત ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી તેમજ ભાજપના એક ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને પ્રશ્નનું નિરાકરણ લાવવા અપિલ કરી છે. પરંતુ સરકાર જ્ઞાન સહાયકોની ભરતી કરવા મક્કમ બની છે. સોમવારે પણ કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી યોજનાનાં વિરોધ અર્થે ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ ગાંધીનગરમાં હાથમાં બેનરો લઈને રેલી કાઢી સરકારની નીતિ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર જ્ઞાન સહાયકની કરાર આધારિત યોજનાનાં વિરોધ અર્થે આવેલા ઉમેદવારોએ કહ્યું હતું કે, સરકાર દ્વારા કાયમી ભરતી કરવી જોઈએ. રાજ્યમાં છેલ્લા 5 વર્ષથી ટેટ અને ટાટની પરીક્ષાનું આયોજન કરાયું નથી. જોકે 2023માં સરકારે ભરતીની જાહેરાત તો કરી પરંતુ જ્ઞાન સહાયકોને કરાર આધારિત 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવામાં આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક ભરતીના કારણે અગાઉ ટેટ ટાટ પાસ કરેલ વિધાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરતા ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોની પોલીસે  અટકાયત કરી હતી. ઉમેદવારો કહ્યુ હતું કે, બંધારણની જોગવાઈ મુજબ અમે અમારા હક્ક માટે લડત આપી રહ્યા છીએ. અમારી પાસે કોઈ હથિયાર નથી છતાં પોલીસ અમને પકડીને લઈ જાય છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code