નવી દિલ્હીઃ નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ વિરોધ દરમિયાન બનેલી હિંસક ઘટનાની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે મૃતકના પરિવારને રાહત આપવામાં આવશે અને ઘાયલોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.સત્તાવાળાઓએ અગાઉ વધતા વિરોધને રોકવા માટે કાઠમંડુ, પોખરા, બુટવાલ-ભૈરહવા અને ઇટાહારી સહિત અનેક મોટા શહેરોમાં કર્ફ્યુ લાદ્યો હતો.
નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપ્યું છે.આ વિરોધ પ્રદર્શન દરમિયાન કરાયેલી કાર્યવાહીને ઘણા લોકોએ તાજેતરના વર્ષોમાં નેપાળની સૌથી ઘાતક કાર્યવાહી ગણાવતા તેમને તેમના પક્ષની અંદર અને બહાર બંને તરફથી દબાણનો સામનો કરવો પડ્યો હતો. ગઇકાલે નેપાળમાં, ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામેના વિરોધ પ્રદર્શનમાં 19ના મોત અને પોલીસ અથડામણમાં 340થી વધુ લોકો ઘાયલ થયા હતા..

