
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી એપ્રિલથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી આગામી સપ્તાહે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.18થી 20 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન દાહોદ, બનાસકાંઠા અને જામનગરની પણ મુલાકાત લેશે,
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે અમદાવાદ આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 એપ્રિલે સાંજે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ તેઓ સાંજે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે.. 18 એપ્રિલે વડાપ્રધાન રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. પીએમ મોદી 19 એપ્રિલે સવારે બનાસકાંઠા જશે. બનાસકાંઠાના દિયોદરમાં પીએમ મોદી બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ મહિલા પશુપાલકોના સંમેલનમાં પીએમ મોદી સંબોધન કરશે. બનાસકાંઠા બાદ વડાપ્રધાન જામનગર પહોંચશે. જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનેલા આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી, આયુષ મંત્રી પણ હાજર રહેશે..
પોતાના ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે એટલે કે 20 એપ્રીલે પ્રધાનમંત્રી મોદી મહાત્મા મંદિરમાં હાજરી આપશે. અહીં આયુષ મંત્રાલયની બે દિવસીય કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન દાહોદ જવાના છે. દાહોદમાં વડાપ્રધાન આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદથી અમદાવાદ પરત ફરી રાત્રે વડાપ્રધાન દિલ્હી પરત ફરશે.