ખાનગી ઉદ્યોગો અને સરકારી સાહસો સ્થાનિક લોકોને રોજગારી આપવામાં ઉદાસિન રહ્યાઃ કોંગ્રેસ
ગાંધીનગરઃ ગુજરાતમાં મોંઘુ શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગારો છે. સરકારી નોકરી તો નથી મળતી પણ ગુજરાતના લોકોના, પ્રજાના ટેક્ષના પૈસાથી જે ઉદ્યોગોને સગવડો અને રાહતો આપીએ છીએ એ ઉદ્યોગો પણ ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા. ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર મળે એટલા માટે 85 ટકા સ્થાનિક યુવાનોને રોજગાર આપવા માટે સરકારનો 1995નો ઠરાવ છે. એનો અમલ કરવાની જવાબદારી સરકારની છે, તેમ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરીમાં જવાબોમાંથી જે આંકડાઓ મળ્યા છે, જે હકીકતો મળી છે એનાથી સ્પષ્ટ થાય છે કે, આ સરકારની ગુજરાતના યુવાનોને સ્થાનિક રોજગાર મળે એ માટે કોઈ ઇચ્છાશક્તિ નથી અને ઠરાવ હોવા છતાં એનો અમલ નહી કરનારા ઉદ્યોગો સામે કે સંસ્થાઓ સામે પગલા નહી લેવાને કારણે ગુજરાતના યુવાનો રોજગારથી વંચિત રહ્યા છે. ખાનગી ઉદ્યોગો તો રોજગાર નથી આપતા પણ, ડબલ એન્જીન સરકાર છે, મોસાળમાં જમણવાર અને માં પીરસનાર છે, ગુજરાતના જ વડાપ્રધાન છે અને કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સાહસો પણ જયારે સ્થાનિક લોકોને રોજગારી આપવાના પરિપત્રને ઘોળીને પી જતા હોય એનાથી શરમજનક બાબત ગુજરાતમાં ના હોઈ શકે.
તેમણે કહ્યું હતું કે, અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં છેલ્લા 2022-23ના બે વર્ષમાં કયા-કયા એકમોએ સ્થાનિક રોજગારીના પરિપત્રનું ઉલ્લંઘન કર્યું એ બાબતની પ્રશ્નોતરીમાં જે જવાબ મળ્યા છે, એમાં જે કેન્દ્ર સરકાર હસ્તકની સંસ્થાઓ જેવી કે, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ONGC, સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન, કોટન કોર્પોરેશન જેવી આ કેન્દ્ર સરકારની સંસ્થાઓ પણ 85% સ્થાનિક રોજગારી આપવાના પરિપત્રનું પાલન નથી કરતા. એક વર્ષ પાલન ના કરે એની સામે જો સરકારે પગલા લીધા હોત તો બીજા વર્ષે ચોક્કસ પાલન કર્યું હોત પણ આ સંસ્થાઓએ 2022 માં પણ સ્થાનિક યુવાનોને રોજગાર ના આપ્યો અને 2023 માં પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપ્યા. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર માત્ર પરિપત્રો કરે છે, ઠરાવો બહાર પાડે છે પણ એની અમલવારી થતી નથી. ઉદ્યોગો અને સંસ્થાઓ એને ઘોળીને પી જાય છે. યુવાનોને રોજગાર આપવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે, પરિપત્રના અમલ કરાવવામાં સરકાર ઉદાસીન છે એ આ જવાબો પરથી સ્પષ્ટ ફળીભૂત થાય છે.