રાયબરેલી: ઘૂસણખોરોને ભારતીય નાગરિકતા આપવાના ષડયંત્રનો પર્દાફાશ, 1046 પ્રમાણપત્રો રદ કરાયાં
લખનૌઃ રાયબરેલી જિલ્લામાં જન્મ પ્રમાણપત્રોના મોટા કૌભાંડમાં સામેલ ગઠિયાઓએ બાંગ્લાદેશી, રોહિંગ્યા અને પાકિસ્તાની શંકાસ્પદ ઘૂસણખોરોને ભારતીય નાગરિકતા અપાવવામાં કોઈ કસર છોડી ન હતી. જિલ્લાના સલોન બ્લોકના નુરુદ્દીનપુર, લહૂરેપુર અને ગઢી ઇસ્લામનગર ગામોમાં માત્ર કાગળ પર જ 400થી વધુ પરિવારો વસાવી દેવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં એક જ પરિવારના 25,15 અને 11 જેટલાં બાળકોના જન્મ પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા હતા. તપાસમાં આ ગામોમાંથી સંબંધિત પરિવારો મળી આવ્યા ન હતા. જેથી 250 થી વધુ નકલી પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીએમ યોગીના નિર્દેશથી તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા ઘુસણખોરોને શોધી કાઢવા માટે તંત્ર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન રાયબરેલીમાંથી આ કૌભાંડનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના હસ્તક્ષેપ બાદ તપાસ શરૂ થતાં જ આ કૌભાંડની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. નુરુદ્દીનપુર ગામના આરિફ મલિકના નામે 15 બાળકોના જન્મ પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા હતા, પરંતુ તપાસમાં ગામમાં આ પરિવાર મળ્યો નહોતો. આ ઉપરાંત, અજમત અલીના 13, ઇમરાન ખાનના 9 બાળકોના તેમજ એશ મોહમ્મદ, અબ્દુલ અઝીઝ, અબ્દુલ અલી અને અકબર અલીના પણ ખોટી રીતે ગામમાં સરનામું બતાવીને પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા હતા. આમાંથી ચાર બાંગ્લાદેશી અને બે રોહિંગ્યા ઘૂસણખોરો હોવાનું જાણવા મળ્યું છે.
રાયબરેલીના જિલ્લા પંચાયત રાજ અધિકારી સૌમ્યશીલ સિંહએ જણાવ્યું કે, નકલી જન્મ પ્રમાણપત્રો રદ કરવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. સર્વરની સમસ્યાના કારણે મુશ્કેલી પડી રહી હોવા છતાં અત્યાર સુધીમાં 1046 પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. એસઆઈઆરનું કામ પૂર્ણ થયા બાદ કર્મચારીઓની સંખ્યા વધારીને આ કામગીરીમાં ઝડપ લાવવામાં આવશે.


