રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રાંદરડા તળાવ પાસે 8 હેકટર જમીન પર લાયન સફારી પાર્ક બનાવાશે
રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બનાવાયેલો ઝૂ અને લાયન બ્રિડીંગ સેન્ટરનો પ્રોજેકટ સફળતા મળ્યા બાદ હવે આગામી વર્ષમાં શહેરના રાંદરડા તળાવ પાસે લાયન સફારી પાર્ક બનાવવા માટે રૂ.10 કરોડની યોજના બનાવવામાં આવી છે તેના માટે જરૂરી જમીન એકત્ર કરવા માટે મ્યુનિ.એ 15 વર્ષ પહેલા જંગલખાતાને આપેલી 8 હેકટર જમીન પરત લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બે દિવસ પૂર્વે મનપા કમિશનર અને જંગલખાતાના અધિકારીઓ સાથે બેઠક મળી હતી અને આ બેઠકમાં જંગલખાતાએ જમીન પરત આપવાની તૈયારી બતાવી છે. એટલે રાજકોટ નજીક આઠ હેકટર જમીન પર લાયન સફારી પાર્ક બનાવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને આ જમીન સરકારે બ્યુટીફિકેશન અને રાંદરડા તળાવ આસપાસ મનોરંજન પાર્ક માટે બનાવવાના હેતુથી ફાળવી હતી. જો કે જમીન ફાળવણી બાદ કોઈ પ્રોજેકટ નહિ બનતા જંગલખાતાને સામાજિક વનિકરણની યોજના માટે જમીનનો ઉપયોગ કરવા પરવાનગી આપવામાં આવી હતી. જમીનનો ઉપયોગ 15 વર્ષ માટે થઈ શકશે તેવું નક્કી કરાયું હતું. હવે મ્યુનિ.કોર્પોરેશનને જમીનની જરૂર પડી છે. મ્યુનિ.દ્વારા ત્યા લાયન સફારી પાર્ક બનાવવા માટે આગળ કાર્યવાહી શરૂ કરી રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ.ના સત્તાધિશોએ જમીનની માગણી માટે જંગલખાતાને જણાવતા અધિકારીઓ વચ્ચે હકારાત્મક બેઠક યોજાઈ હતી. આ જમીન 15 વર્ષ માટે આપવામાં આવી હતી અને હાલ તેના કરતા વધુ સમયગાળો થઈ ચૂક્યો છે ત્યારે જમીન જંગલખાતું પરત આપી દેશે. જમીન મહાપાલિકાની માલિકીની હોવાથી કોઈ ટેકનીકલ સમસ્યા આડી આવી શકે તેમ નથી. જમીનનો મુદ્દો ક્લિયર થયા બાદ યોજનાનો ડી.પી.આર. બનાવવામાં આવશે. જે રીતે સાસણના દેવળીયા, જૂનાગઢમાં સકકરબાગ પાછળ સિંહને મુક્ત વિહાર કરતા માણી શકાય છે તે રીતે રાજકોટમાં રાંદરડા અને લાલપરી પાસે સફારી પાર્કમાં સિંહ દર્શન થઈ શકશે.