1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ફેમિલી ડૉકટરની જેમ પરિવારોને પ્રાકૃતિક ખેતી કરતા ફેમિલી ફાર્મર માટે આહ્વાન કરતા રાજયપાલજી
ફેમિલી ડૉકટરની જેમ પરિવારોને પ્રાકૃતિક ખેતી કરતા ફેમિલી ફાર્મર માટે આહ્વાન કરતા રાજયપાલજી

ફેમિલી ડૉકટરની જેમ પરિવારોને પ્રાકૃતિક ખેતી કરતા ફેમિલી ફાર્મર માટે આહ્વાન કરતા રાજયપાલજી

0
Social Share

અમદાવાદઃ કેળની ખેતી કરતા ખેડૂતો માટે કેળના અવશેષોનો નિકાલ કરવા માટેની સમસ્યાને આવકવૃદ્ધિની સંભાવનામાં બદલવાનું કામ ગુજકોમાસોલના માધ્યમથી કરવામાં આવ્યું છે એમ ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું. ભરૂચના વગુસણા ખાતે ગુજકોમાસોલના ગુજકો ગ્રીન બનાના ફાયબર પ્રોજેકટના શુભારંભ સમારંભમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, કેળના થડનો અહીંતહીં નિકાલ કરવામાં આવે તો તે પર્યાવરણને દૂષિત કરી માનવ સ્વાસ્થ્યને વિપરિત અસર કરે છે. ગુજકોમાસોલ દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રોજેકટથી જેને આપણે વેસ્ટ ગણી ફેંકી દઇએ છીએ એ વેસ્ટમાંથી ફાઇબર મેળવી કાપડ, કાગળ જેવી વસ્તુ બનાવવામાં આવે છે. તેમાંથી નિકળતા પ્રવાહીમાંથી પ્રવાહી ખાતર, મધ્યગરના ભાગમાંથી પૌષ્ટિક કેન્ડી તેમજ બાકી બચતા અવશેષમાંથી અળસિયાનું ખાતર બનાવવામાં આવે છે.

ખેડૂતોને અનુરોધ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગુજકોમાસોલ દ્વારા શરૂ કરવામાં આવેલા આ તાલીમ કેન્દ્રમાં કેળની ખેતી કરતા ખેડૂતો તાલીમબદ્ધ થઈ વ્યક્તિગત કે સામૂહિક રીતે રાસ્પાડોર મશીન વસાવી કેળના અવશેષોના નિકાલનું કઠિન ગણાતું કામ સરળતાથી પાર પાડી શકાશે. તેમણે કપિલ મુનિનું વાકય ટાંકતાં કહ્યું કે, આ દુનિયામાં કોઇ ચલ અચલ વસ્તુ એવી નથી કે જેનો બીજો કોઇ ઉપયોગ થતો ન હોય. પ્રગતિશીલ ખેડૂતોને શીખ આપતાં તેમણે જણાવ્યું હતું કે, મહાન માણસ એ છે જે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી પરોપકાર અને લોકકલ્યાણના કામો કરતો હોય. આવા જ માણસો ઈતિહાસ રચીને અમર થતા હોય છે. અહીં બેઠેલા તમામ પ્રગતિશીલ ખેડૂતો પણ તેમના જ્ઞાનનો ઉપયોગ કરી એક ખેડૂત બીજા પચ્ચીસ ખેડૂતોને જોડીને આ પ્રોજેકટ થકી આર્થિક સમૃદ્ધિ તરફ દોરીને તેમની જવાબદારીનું નિર્વહન કરી અન્ય ખેડૂતોની પણ આવકવૃદ્ધિ થાય તે માટે પ્રવૃત્ત થવા તેમણે આહ્વન કર્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને દેશને પોષણયુક્ત અનાજ-પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટેના પ્રયત્નો અને અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. વધતા જતા ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે. જેમ પ્રત્યેક પરિવાર પાસે એક ફેમિલી ડૉક્ટર હોય છે, તેમ પ્રત્યેક પરિવાર એક પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત સાથે જોડાય અને દરેક પરિવાર સાથે પોતાનો ફેમિલી ફાર્મર હોય એવું આહ્વાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે, જે રીતે જંગલનાં વૃક્ષોને કુદરતી રીતે જ પોષણ મળે છે, ત્યાં કોઈ પ્રકારના ખાતર વિના જ આપોઆપ ફળ આવી જાય છે. પ્રાકૃતિક ખેતીમાં પણ જીવામૃત અને ઘન જીવામૃત આધારિત કુદરતી પદ્ધતિ દ્વારા ખેતી પોષણક્ષમ તો બને જ છે, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે.

રાજ્યપાલએ યુનેસ્કોના રિપોર્ટનો હવાલો આપતાં જણાવ્યું કે, જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવામાં નહીં આવે, તો આગામી ૪૦ વર્ષમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના કારણે જમીન સદંતર બિનઉપજાઉ બની જશે. તદુપરાંત, વિદેશથી મંગાવવામાં આવતા યૂરિયા અને અન્ય રાસાયણિક ખાતરોમાં દેશનું હૂંડિયામણ પણ ખર્ચ થાય છે. જ્યારે પ્રાકૃતિક કૃષિ થકી જમીનનાં પોષક તત્ત્વો પણ જળવાઈ રહે છે તેમજ વરસાદી પાણી પણ જમીનમાં ઉતરવાના કારણે જમીનનું જળસ્તર પણ ઊંચું આવે છે.

તેમણે જણાવ્યું કે, દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં 300 કરોડ સુક્ષ્મ જીવાણું હોય છે. ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી કરવાનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પણ સિદ્ધ કરી શકાશે. આ માટે તેમણે અળસિયા આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વિશે પણ વિગતવાર સમજણ આપી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતરમાં અળસિયાનો વ્યાપ વધે છે જેનાથી નેચરલ હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી થાય છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ વિશે વિગતો આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, છેલ્લાં ચાર વર્ષ દરમિયાન રાજ્યમાં 8.5 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. વધુમાં વધુ ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

તેમણે દ્ષ્ટાત ટાંકતા જણાવ્યું કે, હરિત ક્રાંતિની શરૂઆત સમયે સમગ્ર ભારત દેશની ધરતીનો ઓર્ગેનિક કાર્બન 2 થી 2.5 ટકા હતો. ગત વર્ષે આવેલા રીપોર્ટ મુજબ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ધટીને 0.3,0.4, 0.5 થઈ રહ્યું છે. જે જમીનનુ ઓર્ગેનિક કાર્બન 0.5 થી નીચું જાય ત્યારે તેને વેરાન જમીન કહેવાય છે. આપણી ધરતી ઉજ્જડ થઈ ચુકી છે. જેને બચાવવી હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code