રામ અવતાર જગ્ગી હત્યા કેસ: છત્તીસગઢના પૂર્વ CM અજિત જોગીના પુત્ર અમિત જોગી દોષિત જાહેર
રાયપુર, 3 એપ્રિલ 2026: છત્તીસગઢના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવનારા રામ અવતાર જગ્ગી હત્યા કેસમાં હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. છત્તીસગઢ હાઇકોર્ટે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય અમિત જોગીને આ હત્યા કેસમાં દોષિત ઠેરવ્યા છે. અદાલતે તેમને આગામી ત્રણ અઠવાડિયામાં કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.
આ કેસ વર્ષ 2003નો છે, જ્યારે અજિત જોગી છત્તીસગઢના મુખ્યમંત્રી હતા. તે સમયે રાયપુરના જાણીતા ઉદ્યોગપતિ અને રાજકારણી રામ અવતાર જગ્ગીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. વર્ષ 2007માં રાયપુરની વિશેષ CBI કોર્ટે આ કેસમાં 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જોકે, તે સમયે અમિત જોગીને ‘શંકાનો લાભ’ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. CBIએ નીચલી અદાલતના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ટેકનિકલ કારણોસર અપીલમાં વિલંબ થતા તે રદ થઈ હતી. ત્યારબાદ CBI સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ગયા નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે વિલંબને માફ કરી કેસ ફરીથી હાઇકોર્ટમાં મોકલ્યો હતો.
લાંબી કાનૂની લડત બાદ, હાઇકોર્ટે 2 માર્ચ, 2026ના રોજ અમિત જોગીને દોષિત જાહેર કર્યા હતા. ગઈકાલે 02.04.2026 ના રોજ આ અંગેની વિગતો સ્પષ્ટ કરતા અદાલતે અમિત જોગીને તાત્કાલિક અસરથી ત્રણ અઠવાડિયામાં સરેન્ડર કરવા જણાવ્યું છે.


