Site icon Revoi.in

રાણાવાવ પોલીસે ગુમ થયેલા બે નાના બાળકોને શોધી કાઢીને પરિવારને સોંપ્યા

Social Share

પોરબંદર, 12 એપ્રિલ 2026: Ranavav police find two missing children  જિલ્લાના રાણાવાવ પોલીસે ગુમ થયેલા બે બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી બન્ને બાળકોને તેના પરિવારને સોંપીને  મિલન કરાવ્યું હતુ. આ ઘટના રાણાવાવ બસ સ્ટેશન પર બની હતી.

આ બનાવની વિગત એવી હતી કે, રાણાવાવ બસ સ્ટેશન પર ફરજ પર હાજર જી.આર.ડી. જવાન ચંદ્રેશ બાબુભાઈ સાદીયા અને કેતન અમૃતભાઈ ઘમરને બે નાના બાળકો એકલા મળી આવ્યા હતા. આસપાસ તપાસ કરવા છતાં કોઈ વાલી-વારસ ન મળતા, જવાનોએ તાત્કાલિક બંને બાળકોને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન પહોંચાડ્યા હતા. આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ડાંગરે બાળકોના વાલીની શોધખોળ કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. કણઝરીયા અને હેડ કોન્સ્ટેબલ કે.આર. કરંગીયાને સૂચના આપી હતી. પોલીસે સ્થાનિક નાગરિકોની મદદ અને સંપર્ક સૂત્રો દ્વારા સઘન તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસ દરમિયાન બંને બાળકોની ઓળખ થઈ હતી. તેમાં રાણાવાવના ૩ વર્ષીય આહિલ સુલ્તાન મુલાણી અને ખંભાળિયાના 4 વર્ષીય અરમાન સિરાજ મિનસારીયા હોવાનું જાણવા મળતા પોલીસે તુરંત તેમના વાલીઓ સિમરનબેન મુલાણી અને સમરીનબેન મિનસારીયાનો સંપર્ક કર્યો હતો. જરૂરી ખરાઈ કર્યા બાદ બંને બાળકોને તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. પોતાના બાળકો પાછા મળતા પરિવારે રાણાવાવ પોલીસનો આભાર માન્યો હતો. આમ પોલીસે ત્વરિત કામગીરી કરીને ગુમ થયેલા બન્ને બાળકોનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

Exit mobile version