
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે, અને ભાજપના હિન્દુકાર્ડ સામે કોંગ્રેસે જાતિ આધારિત કાર્ડ ખેલવાનો નિર્ણ કર્યો છે. તાજેતરમાં જ બિહારની સરકારે જાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતાં. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, બિહાર સરકારની જેમ ગુજરાત સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરે. જેથી બિન અનામત વર્ગનાં લોકોને વસ્તી ગણતરીથી ફાયદો થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવી જોઈએ. મુખ્ય પ્રવાહમાં સમાજને લાવવા માટે સતત લડાઈ ચાલી રહી છે. અંગ્રેજોનાં શાસનકાળથી જાતિ આધારિત વસ્તીનાં આંકડા મળી આવે છે. 2011માં કાસ્ટ સેન્સસ મુજબ સામાજિક રીતે વસ્તી ગણતરી કરાઈ છે પરંતુ જાતિ આધારિત વસ્તી ગણતરીનાં આંકડા જાહેર ન થયા. જેથી ધાર્મિક આંકડા જાહેર કરીને રાજકીય લાભ લેવામાં આવ્યો હતો. સમાજમાં અસમાનતા દૂર કરવા જાતિ આધારિત ડેટા ખૂબ જરૂરી છે.
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગની કાર્યકરણીને બેઠકમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે વસ્તીને આધારે મળવાપાત્ર બજેટ ભાજપ સરકાર ફાળવતી નથી, જેના લીધે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચનાં લોકોને નુકશાન થઇ રહ્યું. ઉત્સવો અને તાયફા પાછળ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ એસસી, એસટી અને ઓબીસી સમાજના બાળકોને મળવાપાત્ર લાભથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષનાં સંગઠનમાં મહિલાઓને 33% અનામત સાથે યોગ્ય સ્થાન મળવું જોઈએ. સંગઠનની નિમણુંકમાં વધુ મહિલાઓને સ્થાન મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. ભાજપ સરકાર એસસી, એસટી અને ઓબીસી નિગમોને યોગ્ય અને પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી. કોંગ્રેસ પક્ષ આવનાર સમયમાં ગુજરાતમાં ઝોન પ્રમાણે સંમેલનો બોલવામાં આવશે. ભાજપ સરકાર દલીતો અને વંચિતો સાથે સતત અન્યાય કરી રહી છે.