
- કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યોજાઇ સમીક્ષા બેઠક
- સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
- સિનિયર તબીબો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને લેવાયો નિર્ણય
અમદાવાદ: કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે. કૈલાસનાથનની અધ્યક્ષતા હેઠળ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
રાજ્યભરમાં વધી રહેલા કોરોનાના કેસ અંગે ગંભીર ચિંતા કરી સિવિલ હોસ્પિટલના તબીબો સાથે કોર કમિટીની બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કે.કૈલાસનાથન દ્વારા સિવિલ મેડિસીટીના સિનિયર તબીબો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી લેવામાં આવી હતી.
સિવિલ મેડિસીટીમા આવેલી કેન્સર, કિડની હોસ્પિટલની નવી બિલ્ડીંગને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સંપૂર્ણ રીતે કોરોનામાં પરિવર્તિત કરવા માટેની ચર્ચા કરવામાં આવી. સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે આ બેઠકમાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. જે. વી. મોદી, IKDRCના ડાયરેક્ટર વિનીત મિશ્રા, બી.જે.મેડિકલ કોલજના ડીન ડૉ. પ્રણય શાહ સહિતના વરિષ્ઠ તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
(સંકેત)