- ભાજપ સરકારમાં સફેદ પાણીના કરોડો રૂપિયાનો કાળો કારોબાર,
- ગુજરાતમાં 2,791 ગામોમાં ફલોરાઈડથી દૂષિત પાણીની સમસ્યા,
- ગુજરાતનાં 18,715 ગામોમાંથી 55 ટકા ગામોમાં પીવાનું પાણી શુદ્ધ નથી
અમદાવાદઃ ગુજરાતમાં ખેત તલાવડી, બોરીબંધ, સુજલામ સુફલામ,જેવી જુદી જુદી સ્કીમના નામે કરોડો રૂપિયાના ‘સ્કેમ’ કરતી ભાજપ સરકારમાં નલ સે જલમાં કરોડો રૂપિયાનું વધુ એક મહાકાય કૌભાંડ કૌભાંડ આચરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં જળ વ્યવથાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં સફેદ પાણીનો કરોડો રૂપિયાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. તેમ ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 203 જળાશયો છે અને 4,30,680 ચેકડેમ અને ખેત તલાવડીઓ છે અને એક લાખથી વધુ તળાવો છે. તેમાંથી માત્ર 13,000 જ ઊંડાં કરવા માટે આ અભિયાન ચલાવાયું. જો એ બરાબર ચાલ્યું હોય તો પણ તે 10 ટકા ગુજરાતીઓની તરસ છીપાવવા માટે પણ પૂરતું ગણાય નહિ. તો બાકીની પ્રજાનું શું? સરકાર પોતે જ કબૂલે છે કે રાજ્યનાં 8,25૦ ગામો પાણીની નબળી ગુણવત્તા ધરાવે છે, 2,791 ગામો ફલોરાઈડથી દૂષિત પાણી ધરાવે છે, 455 ગામો નાઈટ્રેટવાળું પાણી ધરાવે છે અને 792 ગામો ખારાશવાળું પાણી ધરાવે છે. આમ, કુલ 10,288 ગામો પીવાનું ખરાબ પાણી ધરાવે છે. એનો અર્થ એ છે કે ગુજરાતનાં 18,715 ગામોમાંથી 55 ટકા ગામોમાં પીવાનું પાણી શુદ્ધ નથી. જો આ અભિયાન માત્ર 13,000 તળાવો ઊંડાં કરવા માટે હોય તો આ સમસ્યા ક્યારે ઉકેલાશે? ‘
તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના’ પોતે જ કરોડો રૂપિયાનું એક મોટું કૌભાંડ હતું. તેને વિષે તો કેગના અહેવાલોમાં ભારે ટીકાઓ થઇ હતી. વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ અને અન્ય સરકારી સમિતિઓએ ‘સુજલામ સુફલામ યોજના’ને કૌભાંડી જ જાહેર કરી હતી. અને એ કૌભાંડમાં તો કોઈ જ વ્યક્તિને સજા સુધ્ધાં થઇ નથી. જમીન વિકાસ નિગમનું કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું તે જ તેની ખરાઈ સામે મોટો પ્રશ્ન ઊભો કરે છે. મુખ્ય પ્રધાને આ જળ અભિયાન વિષે એવી જાહેરાત પણ કરી હતી કે “તળાવો-ચેકડેમ ઊંડા કરવાથી ઉપલબ્ધ થનારી ફળદ્રૂપ માટી એક પણ પૈસાની રોયલ્ટી લીધા વિના અપાશે.” પણ હકીકત કંઈક જુદી જ છે. માત્ર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દૂધિયા ગામમાં આ અભિયાન માટે પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને તેમાં મશીનો દ્વારા કામ કરવામાં આવ્યું અને નીકળેલી માટી એક ટ્રેકટરના રૂ. 300થી રૂ. 800 સુધીના ભાવે વેચવામાં આવી છે. એનો અર્થ એ થયો કે રૂ. 345 કરોડના આ કહેવાતા જળ અભિયાનમાં ભારે ભ્રષ્ટાચાર થયો હતો.

