રફાલ યુદ્ધવિમાનના સોદામાં કથિત ગોટાળાને લઈને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. આ મામલામાં એક નવો વળાંક આવ્યો છે. બુધવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા અટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ છે કે જે ડોક્યુમેન્ટને અખબારમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે, તે સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થયા હતા. અમે તેની આંતરીક તપાસ કરી રહ્યા છીએ.
અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કહ્યુ છે કે જે ગુપ્ત દસ્તાવેજો અખબારમાં પ્રકાશિત થયા છે, તેને લઈને કાર્યવાહી થવી જોઈએ. અટોર્ની જનરલે કહ્યુ છે કે કેટલાક દસ્તાવેજને સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી કરવામાં આવ્યા અને આગળ વધારવામાં આવ્યા. તેમણે કહ્યુ છે કે આ કેસ ઘણો મહત્વનો છે. અખબારે કેટલીક ગુપ્ત જાણકારી જાહેર કરી દીધી છે.
સુનાવણીની શરૂઆતમાં પુનર્વિચારણા અરજી દાખલ કરનારા પ્રશાંત ભૂષણે આઠ પૃષ્ઠોની નોટ કોર્ટમાં દેખાડી હતી. જો કે કોર્ટે કહ્યું છે કે તેઓ આ મામલામાં કોઈ નવા પુરાવા લેશે નહીં. જે વસ્તુઓ ઉપલબ્ધ છે, તેના સંદર્ભે વાત થશે.
કે. કે. વેણુગોપાલે કહ્યુ છે કે રફાલ સોદા પર જો ન્યાયિક સમીક્ષા કરવામાં આવે છે, તો ભવિષ્યની ખરીદી પર તેની અસર પડી શકે છે. તેમણે કહ્યુ છે કે વિદેશી કંપનીઓએ આના સંદર્ભે વિચારણા કરવી પડશે. તેમણે સમજાવ્યું કે હાલ અમારે સંસદ, મીડિયા અને કોર્ટની કાર્યવાહીને પાર કરવી પડે છે. તેમમે કહ્યુ છે કે મીડિયા તરફથી કોર્ટને પ્રભાવિત કરાઈ રહી છે.
ગત વર્ષ 13 ડિસેમ્બરે-2018ના રોજ સુપ્રીમ કોર્ટે રફાલ યુદ્ધવિમાનના સોદામાં ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે આ સોદામાં કોઈપણ પ્રકારની ગડબડ નથી. જો કે ત્યારે કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની સમક્ષ યોગ્ય દસ્તાવેજ રજૂ કર્યા નથી, માટે ચુકાદો પર પુનર્વિચારણા થવી જોઈએ.
ચુકાદો આવ્યા બાદ તાત્કાલિક કેન્દ્ર સરકારે સંશોધન અરજી દાખલ કરી હતી. બાદમાં પ્રશાંત ભૂષણે પણ અજી દાખલ કરીને માગણી કરી હતી કે સરકાર માટે નોટમાં અદાલતને ગેરમાર્ગે દોરનારા અદિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. 26 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે રફાલ મામલાને લઈને આપવામાં આવેલા ચુકાદા પર ખુલ્લી અદાલતમાં ફરીથી વિચાર કરશે.
મહત્વપૂર્ણ છે કે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ, ભાજપના બળવાખોર નેતા યશંવત સિંહા, અરુણ શૌરી, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને વકીલ એમ. એલ. શર્માએ પુનર્વિચારણા અરજીમાં અદાલતને રફાલના આદેશની સમીક્ષા કરવા માટે અપીલ કરી છે.
અપીલમાં કહેવામાં આવ્યું છે કે સરકારે રફાલ યુદ્ધવિમાનની ખરીદી માટે નિર્ણય લેવાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું નથી. મોદી સરકારે 3P એટલે કે પ્રાઈસ, પ્રોસિઝર, પાર્ટનરની પસંદગીમાં ગફલત બનાવી રાખી અને અયોગ્ય લાભ લીધો છે.
કેન્દ્ર સરકારની અપીલમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ પોતાના ચુકાદામાં એ ટીપ્પણીમાં સુધારો કરે જેમા કેગ રિપોર્ટ સંસદની સમક્ષ રજૂ કરવાનો ઉલ્લેખ છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે કોર્ટે સરકારી નોટની ખોટી વ્યાખ્યા કરી છે.
પ્રશાંત ભૂષણની એક અરજી જે સરકાર દ્વારા આપવામાં આવેલી નોટમાં કોર્ટને ગેરમાર્ગે દોરનારા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાહે છે. તેમા લખવામાં આવ્યું હતું કે કેગે રફાલ પર સંસદને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે.
મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મુદ્દા પર વડાપ્રધાન મોદીને ઘેરતા રહે છે. રાહુલ ગાંધીએ આ મુદ્દા પર ઘણીવાર પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન મોદીએ અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવા માટે રફાલ ડીલમાં ગડબડ કરી છે.