Site icon Revoi.in

સુરક્ષાદળોને એલઓસી અને આંતરિક વિસ્તારોમાં સાબદા રહેવા તાકીદ કરાઈ

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હૂમલામાં 28 જેટલા પ્રવાસીઓના મોત થયાં છે. સમગ્ર ઘટનાને પગલે સુરક્ષાદળોએ આતંકીઓનો ખાતમો બોલાવવા માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. દરમિયાન સૈન્યને એલઓસી અને આંતરિક વિસ્તારમાં સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ આજે પીડિતોને મળ્યાં હતા. બીજી તરફ આ ઘટનાને પગલે સાઉદી અરેબિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રવાસ ટુંકાવીને પરત ભર્યાં હતા. એટલું જ નહીં એરપોર્ટ ઉપર જ એસ.જયશંકર અને અજીત ડોભાલ સહિતના આગેવાનો સાથે બેઠક કરી હતી.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, તમામ સૈન્ય રચનાઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના LoC અને આંતરિક વિસ્તારોમાં પણ હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ સ્કેચ પીડિતો સાથે વાત કરીને બનાવવામાં આવ્યા છે. NIAની ટીમ પહેલગામ પહોંચી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં છે. તેમના પાછા ફર્યા પછી, સીસીએસની બેઠક દિલ્હીમાં યોજાશે. પ્રધાનમંત્રી મોદી પણ આમાં ભાગ લેશે.