નવી દિલ્હી, 26 જૂન 2026: ઝારખંડમાં ચોમાસાની શરૂઆત સાથે જ આકાશમાંથી આફત વરસી રહી છે. રાજ્યમાં 12 જૂનથી અત્યાર સુધીમાં વીજળી પડવાની ઘટનાઓમાં 30 થી વધુ લોકોના મોત થયા છે અને 35 થી વધુ લોકો ઘાયલ થયા છે. રવિવારે(28 જૂન) રાંચી જિલ્લાના સોનાહાતુમાં વોચ ટાવરનું નિરીક્ષણ કરી રહેલા વનરક્ષક રોશન શ્રીવાસ્તવનું વીજળી પડવાથી મોત થયું હતું, જ્યારે અન્ય બે વનકર્મીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. લોહરદગામાં ત્રણ વર્ષની બાળકી, રાંચીના બેડોમાં એક ખેડૂત, સિલ્લીમાં એક સગીર તથા ગઢવા જિલ્લાના રંકામાં કેરી વીણવા ગયેલા બે બાળકોના પણ વીજળી પડવાથી મોત થયા હતા. 24થી 26 જૂન વચ્ચે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળીએ ભારે તબાહી મચાવી હતી.
આ સમયગાળા દરમિયાન ચતરા, પલામૂ, જામતાડા, કોડરમા, દેવઘર અને લોહરદગા સહિતના વિવિધ જિલ્લાઓમાં 12 લોકોના મોત થયા હતા અને લગભગ 18 લોકો ઘાયલ થયા હતા. લોહરદગામાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે આઠ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. 21થી 23 જૂન વચ્ચે પશ્ચિમ સિંઘભૂમના ટોકલોમાં ફૂટબોલ મેચ દરમિયાન મેદાન પર વીજળી પડવાથી બે ખેલાડીઓના મોત થયા હતા. ખૂંટી જિલ્લાના કર્રામાં ક્રિકેટ રમી રહેલા યુવકો પર વીજળી પડતા એક ખેલાડીનું મોત થયું હતું અને 11 અન્ય ઘાયલ થયા હતા.
આ પહેલા 17 થી 19 જૂન વચ્ચે હઝારીબાગ, રામગઢ, પલામૂ, લોહરદગા, ગોડ્ડા અને પશ્ચિમ સિંઘભૂમમાં આઠ લોકોના મોત નોંધાયા હતા. ચોમાસાના આગમન પહેલાના 24 કલાકની અંદર જ રાંચી, ગઢવા, ચતરા, ગિરિડીહ, જામતાડા અને સરાયકેલા-ખરસાવાંમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
હવામાન નિષ્ણાતોના મતે, ઝારખંડની ભૌગોલિક રચના તેને વીજળી પડવાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ બનાવે છે. ઉચ્ચ પ્રદેશો, ગીચ જંગલો, ઊંચા વૃક્ષો, ખનિજ સંપત્તિ અને ચોમાસા દરમિયાન ગરમ અને ઠંડી હવાના ટકરાવને કારણે વાતાવરણમાં વીજળીની ઉર્જા ઝડપથી ઉત્પન્ન થાય છે, જેના કારણે વીજળી પડવાની ઘટનાઓ વધુ બને છે. રાંચી, ગુમલા, પલામૂ, બોકારો અને પૂર્વ સિંઘભૂમને રાજ્યના મુખ્ય ‘લાઈટનિંગ હોટસ્પોટ’ માનવામાં આવે છે.
એક દાયકામાં વીજળી પડવાથી રાજ્યમાં ઓછામાં ઓછા 1,669 લોકોના મોત
ક્લાઈમેટ રિઝિલિયન્ટ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ્સ પ્રમોશન કાઉન્સિલ (CROPC) અને ભારતીય હવામાન વિભાગના આંકડા અનુસાર, ઝારખંડમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દર વર્ષે સરેરાશ 4.36 લાખથી વધુ વખત આકાશી વીજળી પડવાની ઘટનાઓ નોંધાઈ છે. છેલ્લા એક દાયકામાં વીજળી પડવાથી રાજ્યમાં ઓછામાં ઓછા 1,669 લોકોના મોત થયા છે.
નિષ્ણાતોનું માનવું છે કે વાસ્તવિક આંકડો આનાથી વધુ હોઈ શકે છે, કારણ કે દૂરના ગ્રામીણ વિસ્તારોની ઘણી ઘટનાઓ સત્તાવાર રેકોર્ડ સુધી પહોંચતી નથી. વીજળી પડવાથી થતા મૃત્યુમાં સૌથી વધુ સંખ્યા ખેડૂતો, ખેતમજૂરો, પશુ ચરાવનારાઓ, મહિલાઓ અને ખુલ્લા સ્થળોએ કામ કરતા લોકોની હોય છે.
હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરીને લોકોને ગાજવીજ સાથે વરસાદ પડે ત્યારે ખુલ્લા ખેતરો, ઝાડ, વીજળીના થાંભલા અને જળાશયોથી દૂર રહેવાની સલાહ આપી છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગે પણ લોકોને હવામાન ખરાબ હોય ત્યારે સુરક્ષિત સ્થળે આશરો લેવા અને કોઈપણ સંજોગોમાં ખુલ્લા મેદાનમાં ન રહેવા અપીલ કરી છે.

