
સ્માર્ટફોનની કિંમત ઘટશે, બજેટ વહેલા સરકારે ફોનના ઉત્પાદનમાં વપરાતા પાર્ટસની આયાત ડ્યુટી ઘટાડી
નવી દિલ્હીઃ ભારત સરકારે વચગાળાના બજેટ પહેલા એક મોટી જાહેરાત કરી છે જે મેડ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ માટે કોઈ ભેટથી ઓછી નથી. ભારત સરકારે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કંપોનેંટ્સ-પાર્ટસ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. હવે મોબાઈલ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે. સરકારે કહ્યું છે કે, સિમ સોકેટ્સ, મેટલ પાર્ટ્સ, સેલ્યુલર મોડ્યુલ્સ અને અન્ય મિકેનિકલ વસ્તુઓ પરની આયાત ડ્યૂટી હવે 5 ટકા સુધી ઘટાડવામાં આવશે.
સરકારના આ નિર્ણયથી ભારતમાં તેમના ફોનનું ઉત્પાદન કરતી કંપનીઓ ઘણી ખુશ થશે, કારણ કે હવે તેમને કાચા માલની આયાત પર ઓછો ટેક્સ ચૂકવવો પડશે. તેની અસર મોબાઈલ ફોનની કિંમતો પર પણ જોવા મળશે. સરકારના આ નિર્ણયથી મોબાઈલ ફોન સસ્તા થશે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (GTRI)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સ્માર્ટફોન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી શકાય છે. સંશોધકોના મતે સરકારનું આ પગલું મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપશે.