
સરકારની કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંધન કરનાર સામે થશે સખ્ત કાર્યવાહીઃ DGP આશિષ ભાટિયા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા અમદાવાદ સહિત 29 જેટલા શહેરો અને નગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ કેટલાક કડક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાનો લોકોને ભય ન હોય તેમ માસ્ક પહેરવાનું અને સામાજીક અંતર જાળવવાનું ટાળતા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસ પણ હવે એકશન મોડમાં આવી છે. તેમજ આવા લાપરવાહ લોકો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે.
રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના પાલન અંગે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહિં.જયાં સરકારની ગાઈડ લાઈનનું ઉલ્લંધન થતુ હશે ત્યાં સખ્ત કાર્યવાહી કરાશે. રાજયમાં તા.29 ને ગુરૂવારના રોજ જાહેરનામા ભંગના કુલ 2934 કેસો નોંધાયા હતા. ગુરૂવારે નિયમભંગ બદલ 2878 લોકોની ધરપકડ કરાઈ હતી. તેમજ જાહેરમાં થુંકવા અને માસ્ક ન પહેરનારા 11794 લોકો પાસેથી દંડ વસુલ કરાયો હતો. આ ઉપરાંત 1393 વાહનો પણ ડીટેઈન કરાયા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ લગ્નોમાં પણ પોલીસનું ચેકીંગ ચાલુ છે તા.29 ના રોજ રાજયભરમાં 1868 પ્રસંગોમાં પોલીસે સરપ્રાઈઝ ચેકીંગ કર્યુ હતું. જેમાં માસ્ક ન પહેરવા અંગે 92 કેસ, અન્ય ગાઈડલાઈન ભંગના 43 ગુન્હા નોંધી 59 આરોપીની ધરપકડ કરાઈ હતી. ચાલુ માસમાં લગ્ન પ્રસંગ સંબંધીત 289 ગુન્હા નોંધીને 423 લોકોની અટકાયત કરાઈ હતી. આ ઉપરાંત મેડીકલ સાધનો, દવાઓ, મેડીકલ સેવાઓનાં નિયત કરતાં વધુ ભાવ લેવામાં ન આવે અથવા સંગ્રહખોરી ન થાય અને રાજયમાં ઉપલબ્ધ ઓકિસજનનો તમામ પુરવઠો મેડીકલ વપરાશ માટે જ ઉપયોગ થાય તે માટે સતત વોચ અને પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. નિયંત્રણોને લઈ આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો, વાણીજિયક સંસ્થાઓ, મનોરંજન અને ખાણીપીણીના સ્થાનો બંધ રહે તે માટે પોલીસ પેટ્રોલીંગ અને બંદોબસ્ત રખાયો છે.