ગુજરાતમાં કન્ટેનમેન્ટ ઝોનના ધો-9થી 12ના વિદ્યાર્થીઓની પછીથી લેવાશે પરીક્ષા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું હતું. જો કે, સંક્રમણ ઘટતા ધો-9થી 12ના વર્ગો તબક્કાવાર શરૂ કરવામાં આવ્યાં હતા. જો કે, ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વકરતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ આગામી દિવસોમાં ધો-9થી 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. આ વિદ્યાર્થીઓની પરીક્ષા બાદમાં લેવામાં આવશે. રાજ્યનું શિક્ષણ વિભાગ ચાલુ વર્ષે ઓફલાઈન પરીક્ષા લેવા મક્કમ હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં તા.19થી 27 માર્ચ સુધી ધો-9થી 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સરકારે નિર્ણય લીધો છે કે, કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓની હાલમાં પરીક્ષા નહીં લેવામાં આવે. જ્યારે તેમનો વિસ્તાર કેન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત થાય તે બાદ પરીક્ષા લેવામાં આવશે.
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ગુજરાત વાલી મંડળ પણ હરકતમાં આવી ગયું છે. ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી 20 દિવસ શાળા બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે વાલી મંડળે શાળા બંધ રાખી માત્ર ફાઈનલ પરીક્ષા લેવા માટે માગ કરી હતી અને ગ્રેસીંગ માર્કસ આપીને વિદ્યાર્થીઓને પાસ કરવા માટે વાલી મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી.