
કેજરિવાલના વચગાળાના જામીન લંબાવવાની અરજી ઉપર તત્કાલ સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. જસ્ટિસ એએસ ઓકની આગેવાની હેઠળની બેન્ચે કેજરીવાલના સ્વાસ્થ્યની તપાસ માટે વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આટલું જ નહીં, ખંડપીઠે અરજી મોડી ફાઇલ કરવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
જસ્ટિસ એએસ ઓકની બેન્ચે કહ્યું કે, મુખ્ય મામલામાં આદેશ 17 મેના રોજ અનામત રાખવામાં આવ્યો હતો. તે બેંચના સભ્ય જજ ગયા અઠવાડિયે વેકેશન બેન્ચમાં હતા. ત્યારે તમે આ માંગણી કેમ ન કરી? વેકેશન બેન્ચે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીને ચીફ જસ્ટિસને સુનાવણી માટે વિનંતી કરવા કહ્યું હતું.
દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપમાં 21 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલે પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 10 મેથી 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે.
કેજરીવાલે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે, ધરપકડ બાદ 7 કિલો વજન ઘટાડ્યું છે. એટલું જ નહીં તેનું કીટોન લેવલ પણ વધી ગયું છે. આવી સ્થિતિમાં, આ લક્ષણો ગંભીર હોઈ શકે છે. મેક્સના ડોક્ટરોએ તેની તપાસ કરી છે. હવે PET-CT સ્કેન અને ઘણા ટેસ્ટ કરાવવાની જરૂર છે. આવી સ્થિતિમાં સીએમ કેજરીવાલે આ તપાસ કરવા માટે 7 દિવસનો સમય માંગ્યો છે.