સુરતઃ કોરોનાના કપરા કાળ બાદ હવે ઉદ્યોગ-ધંધા ધમધમવા લાગતા જન જીવન પણ રાબેતા મુજબ બની ગયું છે.સુરતમાં હીરા ઉદ્યોગમાં આવેલી તેજીની જેમ કાપડ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. પશ્વિમ બંગાળ,બિહાર સહિતના રાજ્યોમાંથી કાપડની માગ નિકળતા સુરતના પાવરલૂમ્સના સંચાલકો અને કાપડના વેપારીઓ ખૂશખૂશાલ જોવા મળી રહ્યા છે. દેશભરમાં ટ્રેન દ્વારા પાર્સલ મોકલવા સુરત શહેરના કાપડના વેપારીઓએ 5 ટ્રેનો રવાના કરી છે. જ્યારે ડિસેમ્બર સુધીની 20 ટ્રેનો બુક કરી દીધી છે. આગામી દુર્ગાપુજા માટે સુરતથી 10 ટ્રેનોમાં પાર્સલો મોકલાશે. જ્યારે વધારે 10 ટ્રેનો માટે પુછપરછ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના કાપડ બજારમાં પરપ્રાંતના સારાએવા ઓર્ડર મળી રહ્યા છે. અને દિવાળી પહેલા કાપડનો જથ્થો મોકલવા વિનંતી કરી રહ્યા છે. આથી સુરતના વેપારીઓ દ્વારા 10 ટ્રેનો દ્વારા અંદાજે 2400 ટન કાપડને મોકલાશે. ડીઆરએમ જીવીએલ સત્યકુમાર અને ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વેપારીઓ સાથે તાજેતરમાં અગ્રસેન ભવન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેનોના માધ્યમથી ટેક્સટાઈલ માર્કેટના પાર્સલ મોકલવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
તેમાં વેપારીઓ એ ખુલીને પોતાનો પક્ષ રાખ્યો હતો. ડીઆરએમએ વેપારીઓની ફરિયાદો પણ સાંભળી તેમની માંગણીઓને પણ સ્વીકારી હતી. જેમાં વેપારીઓ દ્વારા ખાસ માંગણી કરવામાં આવી હતી કે, ટેક્સટાઈલના પાર્સલ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે. દરમિયાન સુરત સ્ટેશનના નિર્દેશક વર્માએ જણાવ્યું કે, 22 ઓક્ટોબર સુધી બંગાળથી સંગરેલ માટે ચલથાણથી 25 ડબ્બાની 10 ટ્રેન દોડાવાશે. જેમાં 238 ટન કાપડ લોડ થઈ શકશે. સુરત ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ દેસલેએ કહ્યું કે, ‘રોડ ટ્રાન્સપોર્ટમાં 5 દિવસ લાગતા હતા. ટેક્સટાઈલ ટ્રેનોથી સુરતના ઉદ્યોગકારોને ફાયદો થશે. ભાડું પણ ઓછું થશે.
(PHOTO-FILE)