- ભારતમાં કોલેરા સૌથી વધુ ફેલાય છે
- હવે ભારતમાં કોલેરા રોકવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરશે મદદ
- નવી સિસ્ટમ કોલેરાના ફેલાવાની આગાહી 89 ટકા સુધી કરી શકશે
નવી દિલ્હી: દેશભરમાં કોલેરાનો રોગચાળો ક્યારેક વ્યાપક જોવા મળે છે ત્યારે કોલેરાના ફેલાવા પહેલાં જ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી તેની તીવ્રતાની જાણ થઇ જશે. સંશોધકોએ દાવો કર્યો હતો કે નવી સિસ્ટમ કોલેરાના ફેલાવાની આગાહી 89 ટકા સુધી કરી શકશે. ભારતમાં કોલેરા સૌથી વધુ ફેલાય છે એટલે આ ટેક્નોલોજીથી ભારતને ખૂબજ મદદ મળશે.
ઇન્ટરનેશનલ જર્નલ ઑફ એન્વાયર્મેન્ટ રિસર્ચ એન્ડ પબ્લિક હેલ્થમાં પ્રસિદ્વ એક અહેવાલ અનુસાર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કારણે કોલેરાની મહામારી ફેલાશે તે પહેલાં જ તેની જાણકારી પણ મળી જશે. ઉપગ્રહોના આધારે દરિયાના પાણીની સપાટીનું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી વિશ્લેષણ થશે. તેના આધારે કોલેરાનો રોગચાળો ફેલાઇ શકે તેમ છે કે નહીં તેની સતત જાણકારી મળતી રહેશે.
ભારતના સાગરકાંઠે અને મોટી નદીના કાંઠે કોલેરાના રોગચાળાની શક્યતા હોય છે. પ્રદૂષિત પાણીથી કોલેરાનો રોગચાળો ફેલાય છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ પાણીમાં રહેલા તત્વોની માપણી કરીને પૂર્વાનુમાન કરશે. બ્રિટનમાં આવેલી યુરોપીય અવકાશ એજન્સીના ગ્લોબલ વોર્મિંગ પ્રયોગશાળાના સંશોધકોએ કહ્યું હતું કે ૨૦૧૦થી ૨૦૧૬ દરમિયાન હિંદ મહાસાગરના તટે ફેલાયેલા કોલેરાનો અભ્યાસ થયો હતો. એમાં નોંધપાત્ર પરિણામ મળ્યું હતું.
નોંધનીય છે કે આ મોડેલનું સંતોષકારક પરિણામ મળ્યું છે. કોલેરાના લગતા વિવિધ આંકડાઓનો અભ્યાસ થયો હતો. વિવિધ કારણોની તપાસ થઇ હતી. કોલેરા વિબ્રિયો કાલરી નામના બેક્ટેરિયાથી ફેલાય છે. જે સાગરકાંઠે વધુ ફેલાય છે અને ખાસ કરીને ગરમ પ્રદેશોમાં તેમજ ગીચ વસતીમાં વધારે પ્રસરે છે. આ બેક્ટેરિયા સાગરના ખાણા પાણીમાં જીવંત રહે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી એ બેક્ટેરિયાની તીવ્રતા સાગરસપાટી પર જ પામી લેવાશે. એટલે તેના ફેલાવા પહેલાં જ પૂર્વાનુમાન કરી શકાશે.
(સંકેત)