- ટ્વિટરે વિવાદિત ટ્વિટ્સ કરતા 250 હેન્ડલ્સ ફરી કર્યા અનબ્લોક
- આ હેન્ડલ્સ ખેડૂત આંદોલનને લઇને વિવાદિત ટ્વિટ્સ કરી રહ્યા હતા
- હવે સરકારે ટ્વિટર વિરુદ્વ ફરીથી એક્શન લેવાની ચેતવણી આપી
નવી દિલ્હી: ગત કેટલાક દિવસોથી ટ્વિટર પર ખેડૂત આંદોલનના નામે અનેક વિવાદિત ટ્વીટ્સ થઇ રહી છે અને ભારત સરકારે આવા ટ્વિટર હેન્ડલ વિરુદ્વ સખત વલણ અપનાવ્યું છે. આ સાથે જ સરકારે ટ્વિટર કંપનીને નોટિસ મોકલીને આ પ્રકારના હેન્ડલ્સ વિરુદ્વ ઝડપી કાર્યવાહી કરવાનું કહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભારત સરકારે ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલય દ્રારા આ નોટીસ ટ્વિટર (Twitter) ના તે પગલાં બાદ મોકલવામાં આવી છે, જેમાં ટ્વિટરે સરકારની ફરિયાદ પર 250 શંકાસ્પદ ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરી દીધા હતા, પરંતુ પછી તેને ચાલુ કરી દેવામાં આવ્યા. ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલયે પાંચ પેજના આ નોટિસમાં ખૂબ સખત ભાષાનો ઉપયોગ કર્યો છે.
નોટીસમાં કહેવામાં આવ્યું છે કે #ModiPlanningFarmerGenocide હેશટેગની સાથે કન્ટેન્ટ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી. પરંતુ હવે એવામાં તમામ હેડલ્સને ફરીથી ચાલુ કેવી રીતે કરવામાં આવ્યા? નોટીસમાં ફ્રીડમ ઓફ સ્પીચ પર પણ ભાર મુકવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે નરસંહારની વાતને પ્રોત્સાહન આપવું ફ્રીડમ ઓફ સ્પીચ નથી. આ કાયદા-વ્યવસ્થા માટે ખતરો છે.
ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જો સરકારના નિર્દેશ પર આ હેન્ડલ બ્લોક કર્યા હતા, તો ટ્વિટર (Twitter) પોતે નિર્ણય કરીને તેને કેવી રીતે ચાલુ કરી શકે છે? જો ટ્વિટર (Twitter) એવા કેન્ટેન્ટવાળા હેન્ડલને બ્લોક કરશે નહી, તો સરકાર ટ્વિટર વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે.
છેલ્લા કેટલાક સમયથી ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂલો સખત આંદોલનો કરી રહ્યા છે અને ગત 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂત ટ્રેકટર રેલી દરમિયાન પણ હિંસા થઇ હતી. હાલમાં સમયમાં વિશ્વની અનેક હસ્તીઓએ ટ્વિટર પર ભારતને આ બાબતે ઘેરવાનો પ્રયત્ન કર્યો છે.
(સંકેત)