જીવનને સફળ વ્યવસ્થાપન થી આધ્યાત્મિક ઉન્નતિ આપતું પુસ્તક “કોર્પોરેટ ચાણક્ય”
લેખક : રાધાક્રિશ્નન પિલ્લઇ
અનુવાદક : સ્વાતિ વસાવડા
~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા
આપણો દેશ સદીઓ પહેલા અને આજે પણ જ્ઞાનીઓ ,બૌદ્ધિકોથી કાયમ સમૃદ્ધ રહ્યો છે એ આપણા સૌનું પરમ સદ્ભાગ્ય છે ! આજે કોઈ પણ ક્ષેત્રમાં નિપુણતા મેળવીને અવ્વ્લ સ્થાન પ્રાપ્ત કરવા એટલે કે જે તે ક્ષેત્રના “રાજા” બનવા માટે એક પ્રકારની હરીફાઈ છે એ સૌ કોઈ યુવાનો અનુભવે છે ! પણ “રાજા” બનવા માટે જેમનામાં તમને રાજા બનાવવાનું સામર્થ્ય છે એને તમારું સર્વસ્વ સોંપવું રહ્યું સદીઓ પહેલા પણ આજે પણ અને આવનારા અનેક વર્ષો સુધી જેમના આદર્શ વિચાર જીવંત છે શાશ્વત છે એવા જ એક વૈશ્વિક , ઐતિહાસિક અને વિરાટ વ્યક્તિત્વ “કિંગ મેકર” આચાર્ય ચાણક્ય ઉપર લખાયેલ એક સુંદર પુસ્તકનો અભ્યાસ કરવાનું થયું ! ચાણક્ય ઉપર લખાયેલ અનેક પુસ્તકો છે આચાર્ય ચાણક્ય રચિત “ચાણક્યનીતિ” અને “કૌટિલ્યનું અર્થશાસ્ત્ર” આજે પણ સૌ કોઈને માર્ગદર્શન કરે જ છે ! પણ આધુનિક સમયમાં હાલના સમયમાં આચાર્ય ચાણક્યના મૂલ્યો આદર્શોને કેવી રીતે આત્મસાત કરીને આપણા જીવનને દિવ્ય અને ધન્ય બનાવીને સાર્થક કરી શકાય એ સુંદર વાતોની મિરાત લઈ ને આપણી સામે ખુલે છે “કોર્પોરેટ ચાણક્ય” ચાણક્યના માર્ગે સફળ વ્યવસ્થાપન નો સુંદર માર્ગ ઉઘાડીને આપતું આ પુસ્તક “રાધાક્રિશ્નન પિલ્લઇ” એ લખ્યું છે આવો સહેજ જાણીએ આ લેખકશ્રી વિષે રાધાક્રિશ્નન પિલ્લઇએ પ્રથમ વ્યવસ્થાપન તથા સલાહકારનું સ્વ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓએ આપણી દેવોની ભાષા સંસ્કૃતમાં એમ.એ તથા અર્થ શાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી અને એસ.પી.એમ ફાઉન્ડેશનના ડાયરેક્ટર તથા મુંબઈ યુનિવર્સીટી જૂથના એક સક્રિય ભાગ છે નેતૃત્વ ઉપર કાર્યક્રમો તૈયાર કરીને આપણા સમાજને દેશને યુવા નેતૃત્વો પુરા પાડવાનું ભગીરથ અને પવિત્ર કાર્ય કરી રહ્યા છે “ચાણક્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક લીડરશીપ” કે જે રાજકીય નેતાઓ તથા તેને માટે જેઓ પ્રેરિત છે તેમને તાલીમ આપતી આ લીડરશીપ એકેડેમી ના તેઓ સ્થાપક અધ્યક્ષ છે આ માટે શ્રી પિલ્લઈને અનેક એવોર્ડ્સ અર્પણ કરીને દેશે અને સમાજે નવાજ્યા છે . અને એમના દ્વારા લખાયેલા આ સુંદર પુસ્તક માં એમના અનુભવો આધારિત આચાર્ય ચાણક્ય ના આદર્શોનો ખુબ સુંદર રીતે કોર્પોરેટ ક્ષેત્ર માં કામ કરનારા તમામને ખુબ ઉપયોગી થાય એ રીતે એમણે આલેખ્યા છે આ પુસ્તકનો મૂળ અંગ્રેજી માં છે પણ એનો આપણી ગુજરાતી ભાષામાં સુંદર અનુવાદ સ્વાતિ વસાવડાએ કર્યો છે.
પુસ્તકનું પ્રકાશન ખુબ સુંદર રીતે જય કો પબ્લિશિંગ હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે કોર્પોરેટ ચાણક્ય ઉઘાડતા કોર્પોરેટ ક્ષેત્રને લાગુ પાડી શકાય એ રીતે તૈયાર કરવામાં આવેલા અનુક્રમણિકાના એક એક ભાગ ખુબ રસપ્રદ છે જેમ કે ભાગ ૧ નેતૃત્વ અને એમાં સત્તા , એક નેતાના ગુણો , હરીફાઈ , લોકો , ટાળવું જેવા રસપ્રદ મુદ્દાઓ ક્રમશઃ સુંદર રીતે અને એકદમ ઊંડાણ પૂર્વક આવરી લીધા છે આખું પુસ્તક કુલ ૧૭૫ નાના નાના પ્રકરણો માં રસપ્રદ રીતે અને જ્ઞાનસભર રીતે વિભાજીત કરેલું છે અને આ પુસ્તકની આજ સુંદર મજાની વિશેષતાના કારણે વાચકોને ખુબ પ્રસન્નતા સાથે જ્ઞાનની તરસ છિપાશે .આપણા આત્મકલ્યાણ માટે આ સરસ મજાના માર્ગદર્શક પુસ્તકમાં આચાર્ય ચાણક્ય ના આદર્શોને ધ્યાનમાં રાખીને ખુબ જ બારીકાઇ થી તમામ મુદ્દાઓ આવરી લીધા છે જેમ કે “વ્યાપાર માટે સાત સ્તંભો” નામના એક પ્રકરણ માં લેખક સાત સ્તંભો વિષે જેમ કે રાજા ( નેતા ) , મંત્રી ( વ્યવસ્થાપક ) , દેશ ( માર્કેટ / ગ્રાહક ), કિલ્લેબંધ શહેર ( મુખ્ય કાર્યાલય ) , કોષાગાર , સૈન્ય ( જુથ ) , મિત્રદેશ ( મિત્ર / સલાહકાર ) આ સાત સ્તંભો વિષે ખૂબ ટૂંકમાં પણ સુંદર રીતે સમજાવ્યું છે ત્યારબાદ “સફળતાના ત્રણ પાસા”ના પ્રકરણમાં સલાહ વડે સફળતા , સામર્થ્ય વડે સફળતા , શક્તિ વડે સફળતા આ તમામ મુદ્દાઓને હમણાં જ બનેલા મુદ્દાઓ પરિસ્થિતિઓના પરિપેક્ષમાં સુંદર રીતે સમજાવ્યા છે
લેખક શ્રી પિલ્લઇ ” કોર્પોરેટ ચાણક્ય” ની પ્રસ્તાવના માં જ નિખાલસતાથી લખે છે કે ” હું કેરળથી પાછો ફર્યો તે પછી મેં કૌટિલ્યના અનુભવ સિદ્ધ તથા ક્ષતિ રહિત સિદ્ધાંતોને મારા પોતાના બિઝનેસમાં લાગુ કર્યા અને સફળતા મળી એ જ રીતે હું મારા અનુભવ સિદ્ધ જ્ઞાનથી સૌને સફળ થતા જોવા માંગુ છું ” તો આવો જોઈએ આ પુસ્તક વાંચતા આપણને સીધો ફાયદો કઈ રીતે થશે ? ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં આચાર્ય ચાણક્યએ નેતૃત્વ વિશેના તેમના વિચારો તથા વ્યૂહરચનાઓ લખ્યા હતા . વર્તમાન પુસ્તકમાં લેખકે આ યુગો જૂની ફોર્મ્યુલાનું આજના સમયના નેતાઓ માટે એકદમ સરળ ભાષામાં આ પુસ્તકના માધ્યમથી રસદર્શન કર્યું છે . નેતૃત્વ , વ્યવસ્થાપન અને તાલીમ ઉપર ના વિષયોમાં આ પુસ્તક “કોર્પોરેટ ચાણક્ય” વ્યાપારી તંત્રો , વ્યૂહ રચનાઓ , નિર્ણાયત્મક્તા , નાણાં , સમય નું વ્યવસ્થાપન અને એક નેતાની જવાબદારીઓ સહીત ના ક્ષેત્રોમાં ચાણક્યના જ્ઞાનને આપણા જીવનમાં સીધી રીતે અને સરળ રીતે લાગુ કરે છે .આમ એકદમ નાના નાના પ્રકરણોમાં વિભાજીત થયેલું આ પુસ્તક એ વાચકના જીવનને સર્વાંગસંપૂર્ણ રીતે એક આત્મિક , આધ્યાત્મિક , સામાજિક અને રાજકીય ઊંચાઈ આપનારું બની રહેશે એની પુરી શ્રદ્ધા સાથે ૐ લોકાઃ સમસ્તા સુખીનો ભવન્તુ: !!!